પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમમે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ગુજરાતની રાજકીય સ્થિતિ, આરોગ્ય, વીજળી, ચૂંટણી વ્યવસ્થા અને નશાખોરી જેવા મુદ્દાઓ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પંજાબની જેમ ગુજરાતમાં પણ દરેક નાગરિકને કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર વગર ₹10 લાખ સુધીની મફત સારવારની સેહત યોજના લાગુ થવી જોઈએ. ભગવંત માને કહ્યું કે આરોગ્ય એ દરેક નાગરિકનો અધિકાર છે અને તેમાં કોઈ શરતો ન હોવી જોઈએ.
'ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને કામ કરે છે'
ગુજરાતની રાજકીય સ્થિતિ પર ટિપ્પણી કરતા ભગવંત માને આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને કામ કરે છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે બંને પાર્ટીઓ એકબીજાની મદદ કરે છે ત્યારે રાજ્યમાં સાચો વિપક્ષ છે ક્યાં? તેમણે ભાજપ સરકારની નીતિ અને નિયત પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સરકારની નિયત યોગ્ય નથી એટલે તે જનતા માટે કંઈ કરી શકતી નથી. તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે AAP એટલે કે જનતાની સરકાર બનાવો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભગવંત માને કહ્યું હતું કે, 'આઝાદી પછી કોઈ પણ સરકારે ખરેખર લોકો માટે વિચાર કર્યો નથી. તેમણે પંજાબ સરકારની યોજનાઓનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, પંજાબમાં તમામ લોકોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે અને તેના કારણે 90 ટકા લોકોને વીજળીનું બિલ જ આવતું નથી. તેમણે આયુષ્માન ભારત યોજનાની ટીકા કરતા કહ્યું હતું કે તેમાં ઘણી શરતો હોવાથી ઘણા લોકો આ સુવિધાઓથી વંચિત રહી જાય છે.
'...કોંગ્રેસે આ બધુ ભાજપના કહેવાથી કરવામાં આવ્યું હતું'
રાજકીય મુદ્દાઓ પર બોલતા ભગવંત માને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે જાણબૂઝીને પોતાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે ઉમેદવાર ઊભા કર્યા હતા અને આ બધું ભાજપના કહેવાથી કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે, તો પછી કોંગ્રેસ પોતે શું કરી રહી છે તે પ્રશ્નજનક છે. ચૂંટણી પ્રક્રિયા અંગે પણ ભગવંત માને પોતાની વાત રાખી હતી. તેમણે SIR અને વોટ ચોરીના મુદ્દે ઇલેક્શન કમિશને જાહેરમાં સ્પષ્ટતા કરવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે તેમણે નશાખોરી મુદ્દે કહ્યું હતું કે પંજાબમાં ડ્રગ કલ્ચર સામે યુદ્ધના ધોરણે કાર્યવાહી ચાલી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે પંજાબ પોલીસ ગુજરાતમાં આવીને પણ 3 હજાર કિલો નશીલા પદાર્થો ઝડપી ચૂકી છે.
'ભયંકર પૂર બાદ પણ પંજાબે 156 લાખ મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન કર્યું'
સુરક્ષા મુદ્દે બોલતા ભગવંત માને જણાવ્યું હતું કે પંજાબ રાજ્યની પાકિસ્તાન સાથે 532 કિલોમીટરની સીમા છે, જ્યાંથી ડ્રોન મારફતે નશીલા પદાર્થો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી રહે છે, જેને રોકવા માટે પંજાબ સરકાર કડક પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ભયંકર પૂર બાદ પણ પંજાબે 156 લાખ મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન કર્યું છે, જે રાજ્યના ખેડૂતોએ સંકટમાં પણ કેવી રીતે કામ કર્યું તેનું ઉત્તમ ઉદાહરણ છે.





















