સુરત શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જાણીતું અને વિશ્વસનીય નામ ધરાવતા તથા ‘ઘેલાણી ગ્રુપ’ના માલિક તુષાર ઘેલાણીના દુઃખદ અવસાનના સમાચારથી સમગ્ર શહેરમાં ગાઢ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. શહેરના વેપારી, સામાજિક અને ઉદ્યોગ જગત માટે આ ઘટના અત્યંત આઘાતજનક સાબિત થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, 1 ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણીએ પોતાના નિવાસસ્થાને આત્મહાનિ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેમને લાઈફ સપોર્ટ પર રાખીને સતત સારવાર આપવામાં આવી રહી હતી. જોકે, મગજને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાથી તમામ પ્રયત્નો બાદ અંતે ડોક્ટરો દ્વારા તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તુષાર ઘેલાણી બ્રેઈન ડેડ જાહેર
આ દુઃખદ ઘટનાને વધુ કરુણ બનાવે તેવી બાબત એ છે કે, 5 ફેબ્રુઆરીના રોજ તેમની દીકરીના લગ્ન નિર્ધારિત હતા. ઘરમાં લગ્નની તૈયારી, સગાસંબંધીઓની આવનજાવન અને ખુશીનો માહોલ હતો, પરંતુ અચાનક સર્જાયેલી આ ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં ડૂબાડી દીધો. જ્યાં શરણાઈઓ વાગવાની હતી, ત્યાં હવે શાંતિ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. તુષાર ઘેલાણી બ્રેઈન ડેડ જાહેર થતા જ ઘેલાણી પરિવારે એક અત્યંત માનવતાવાદી અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. પરિવારે તુષારભાઈના અંગદાન કરવાની જાહેરાત કરી છે.
પરિવારે અંગદાનનો માનવતાવાદી નિર્ણય લીધો
આ નિર્ણય દ્વારા અનેક ગંભીર રીતે બીમાર દર્દીઓને નવું જીવન મળશે અને તુષાર ઘેલાણીની વિદાય માનવસેવા સાથે જોડાઈ જશે, જે સમાજ માટે એક મોટો સંદેશ છે. આ ઘટનાને લઈને આત્મહાનિનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક ચર્ચાની વાત સામે આવી છે, પરંતુ પોલીસ દ્વારા અન્ય સંભવિત કારણોની પણ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ઉમરા પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે તુષાર ઘેલાણીએ વર્ષો સુધી આપેલું યોગદાન સુરત શહેર ક્યારેય ભૂલી શકશે નહીં. તેમની કાર્યશૈલી, વ્યવસાયિક સમજ અને સમાજ પ્રત્યેની લાગણીને કારણે તેઓ અનેક લોકો માટે પ્રેરણારૂપ રહ્યા હતા. તેમનું અચાનક જવું સુરત માટે એક ન પૂરાય તેવી ખોટ છે.




















