Prateek Yadav: ઉત્તર પ્રદેશના રાજકારણના દિગ્ગજ નેતા અને સમાજવાદી પાર્ટીના સ્થાપક સ્વ. મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના આકસ્મિક નિધનથી સમગ્ર રાજ્યમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. 38 વર્ષીય પ્રતીક યાદવનું બુધવારે સવારે નિધન થયું હતું, જેના કારણોને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, હવે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા મોતના ચોક્કસ કારણોનો ખુલાસો થયો છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, પ્રતીક યાદવનું મૃત્યુ 'કાર્ડિયોરેસ્પિરેટરી કોલેપ્સ' એટલે કે હૃદય અને શ્વસનતંત્ર એકાએક બંધ પડી જવાને કારણે થયું હતું. માત્ર 38 વર્ષની નાની વયે થયેલા આ નિધને પરિવાર અને સમર્થકોને હચમચાવી દીધા છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ તેમનો પાર્થિવ દેહ નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે, જ્યાં સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે.
લોહી ગંઠાઈ જવાથી હૃદય બેસી ગયું: મેડિકલ રિપોર્ટની વિગતો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ પાછળના તબીબી કારણો ખૂબ જ ગંભીર જણાવાયા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પ્રતીક યાદવના શરીરના નીચેના ભાગમાંથી ઉપરના ભાગમાં લોહીના ગઠ્ઠા (Blood Clots) જમા થઈ ગયા હતા. આ ગઠ્ઠા ફેફસાની નસોમાં પહોંચી જતાં 'પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમ'ની સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિમાં ફેફસાની નસો બ્લોક થઈ જાય છે, જેના કારણે હૃદય પર દબાણ વધે છે અને શ્વાસ લેવાની પ્રક્રિયા અચાનક અટકી જાય છે. તબીબોએ વધુ તપાસ માટે વિસેરા (શરીરના આંતરિક અંગોના નમૂના) અને હૃદય-ફેફસાના ટીશ્યુ સુરક્ષિત રાખી પોલીસને સોંપ્યા છે.
પ્રતિક યાદવનું કરોડોનું કાર કલેક્શન તમને પણ કરી દેશે આશ્ચર્યચકિત!: લક્ઝરી અને પ્રીમિયમ ગાડીઓના શોખીન હતા
શરીર પર ઈજાના નિશાન અને માનસિક તણાવ
આ રિપોર્ટમાં અન્ય એક મહત્વની વાત એ સામે આવી છે કે પ્રતીક યાદવના શરીર પર ઈજાના કેટલાક નિશાન પણ જોવા મળ્યા હતા. જોકે, ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ નિશાન મૃત્યુ પહેલાના હતા. પ્રતીક યાદવ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હોવાનું પણ સામે આવ્યું છે. તેમણે તાજેતરમાં જ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અને ખંડણી મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ધડાકો: પ્રતીક યાદવના શરીર પરના વાદળી નિશાનનું શું છે રહસ્ય? સામે આવ્યું ચોંકાવનારૂ સત્ય!
કરોડોની છેતરપિંડી અને ખંડણીનો મામલો
પ્રતીક યાદવે ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, કૃષ્ણાનંદ પાંડે નામના શખ્સે તેમને રિયલ એસ્ટેટમાં રોકાણના નામે કંપની સાથે જોડ્યા હતા અને ત્યારબાદ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આટલું જ નહીં, જ્યારે પ્રતીકે પોતાના નાણાં પાછા માંગ્યા ત્યારે તેમને નકલી ઓડિયો વાયરલ કરી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની અને ગંભીર કેસોમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ આર્થિક વિવાદ અને તણાવની પણ તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ હોવાનું મનાય છે.
“મને તો માત્ર ક્રિકેટ અને જિમ જ ગમે છે...”: ગઈકાલ સુધી તંદુરસ્ત દેખાતા અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું અચાનક મોત
આજે પિપરા ઘાટ પર થશે અંતિમ સંસ્કાર
પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રતીક યાદવના અંતિમ સંસ્કાર ગુરુવારે બપોરે 12:30 કલાકે લખનૌના પિપરા ઘાટ પર કરવામાં આવશે. તેમના નિધન પર શોક વ્યક્ત કરવા માટે સપા સાંસદ ડિમ્પલ યાદવ અને શિવપાલ સિંહ યાદવ સહિતના અનેક દિગ્ગજો તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. હાલમાં પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આર્થિક છેતરપિંડીના બંને પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડી તપાસ કરી રહી છે.





