વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 15 દિવસમાં વડાપ્રધાનનો આ બીજો પ્રવાસ રહેશે. આ વખતે પીએમ મોદી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનારા વિશાળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
બિરસા મુંડાની 150મી જન્મજયંતિની દેશવ્યાપી ઉજવણી
આ પ્રસંગે વડાપ્રધાન આદિવાસી સમાજના 'ભગવાન' ગણાતા અને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિની દેશવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવશે. બિરસા મુંડાની જન્મજયંતિની આ ઉજવણી આદિવાસી સમાજ માટે એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ પ્રસંગ ગણાય છે.
દેશવ્યાપી ઉજવણીનો પ્રારંભ ગુજરાતથી થશે
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન સવારે સુરત આવી પહોંચશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જશે, જ્યાં આ વિશાળ કાર્યક્રમ યોજાવાનો છે. કાર્યક્રમમાં વડાપ્રધાન બિરસા મુંડાના યોગદાન, આદિવાસી સમાજના વિકાસ અને જનજાતિ વિસ્તારો માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યો અંગે પણ સંબોધન કરશે તેવી શક્યતા છે. 15 નવેમ્બરે યોજાનાર આ કાર્યક્રમથી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની દેશવ્યાપી ઉજવણીનો પ્રારંભ ગુજરાતથી થવાનો છે, જે દેશભરના આદિવાસી સમાજ માટે એક પ્રેરણાસ્પદ પ્રસંગ બનશે.






