રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની એકતા અને સુરક્ષા અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ સામે વિદેશી ઘુસણખોરોનું જોખમ વધતું ગયું છે, જે માત્ર આંતરિક સુરક્ષાને નહીં પરંતુ સામાજિક સંતુલનને પણ ખલેલ પહોંચાડે છે.
વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લાંબા સમય સુધી આ સમસ્યાને રાજકીય ફાયદા માટે અવગણવામાં આવી. “વર્ષો સુધી કેટલીક સરકારોએ વોટ-બેંક રાજકારણ માટે દેશની સુરક્ષા સાથે સમાધાન કર્યું. આ ઘુસણખોરો દેશમાં પ્રવેશી સંસાધનોનો ઉપયોગ કરતા રહ્યા અને લોકસાંખ્યિક સંતુલન ખોરવાતું ગયું, પણ કોઈએ તેની ગંભીરતા સમજવાની કોશિશ નહોતી કરી,” એમ મોદીએ જણાવ્યું.
મોદીએ જણાવ્યું કે હવે ભારત આ સ્થિતિને સુધારવા માટે દૃઢ નિશ્ચય સાથે આગળ વધી રહ્યું છે. “અમારું સરકાર સ્પષ્ટ રીતે કહે છે કે રાષ્ટ્રીય હિત સામે કોઈ રાજકારણ સ્વીકાર્ય નથી. ઘુસણખોરી સામે લડવું એ માત્ર કાયદાની નહીં પરંતુ રાષ્ટ્રીય અખંડિતતાની લડત છે,” એમ વડાપ્રધાને ઉમેર્યું.
તેમણે યાદ અપાવ્યું કે લાલ કિલ્લાથી જાહેર કરાયેલ Demography Mission દ્વારા સરકાર ઘુસણખોરીના ખતરાને સમજવા અને નિયંત્રિત કરવા માટે પગલાં લઈ રહી છે. મોદીના જણાવ્યા મુજબ આ મિશન માત્ર આંકડાઓનો અભ્યાસ નહીં, પરંતુ રાષ્ટ્રના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટેનું અભિયાન છે.
મોદીએ આક્ષેપ કર્યો કે આજ પણ કેટલાક રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટે આ મુદ્દાને અવગણી રહ્યા છે. “આ લોકો દેશના હિતને ભૂલીને ઘુસણખોરોના હિતમાં રાજકીય લડાઈ લડી રહ્યા છે. આ પ્રકારની દિશાહીન રાજનીતિથી દેશને ખતરો છે,” એમ તેમણે જણાવ્યું.
વડા પ્રધાને પોતાના ભાષણના અંતે રાષ્ટ્રીય એકતાનું મહત્વ રેખાંકિત કરતાં કહ્યું કે ભારત સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પોથી પ્રેરિત છે અને દેશના દરેક નાગરિકે તેમની જેમ રાષ્ટ્રની અખંડિતતા જાળવવાનો સંકલ્પ કરવો જોઈએ.
મોદીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે ઘુસણખોરી સામે શૂન્ય સહનશીલતાની નીતિ તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા દરેક રાજકીય વિચારધારાથી ઉપર ગણાશે.






