રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં નક્સલવાદ અને માઓવાદી આતંકવાદ પર ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશની મધ્ય ભૂમિમાં નક્સલી તત્વોનું શાસન ચાલતું હતું, જ્યાં સંવિધાન નહીં પરંતુ હથિયારની હુકુમત ચાલતી હતી. નક્સલી વિસ્તારોમાં પોલીસ અથવા પ્રશાસન કામ કરી શકતું ન હતું, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને માર્ગો પર વારંવાર હુમલા થતા.
મોદીએ જણાવ્યું કે તેમની સરકારે સત્તા સંભાળ્યા પછી નક્સલવાદ સામે બહુમુખી અભિયાન શરૂ કર્યું હતું. “અમે ફક્ત લશ્કરી સ્તરે નહીં, પરંતુ વૈચારિક સ્તરે પણ નક્સલવાદને પડકાર્યો. અર્બન નક્સલ તરીકે ઓળખાતા એ નેટવર્કને પણ બહાર લાવ્યું, જે શહેરોમાં રહીને યુવાનોને ભટકાવતું હતું,” એમ વડા પ્રધાને ઉમેર્યું.
સરકારના આ પગલાં બાદ દેશના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને વિકાસની નવી લહેર દેખાઈ રહી છે. વડા પ્રધાનના જણાવ્યા મુજબ, હવે મોટા ભાગના જિલ્લાઓ નક્સલવાદથી મુક્ત થઈ ગયા છે અને જ્યાં એક સમયે આતંકનો રાજ હતો ત્યાં હવે સ્કૂલ, રોડ અને હોસ્પિટલ ઉભી થઈ રહી છે.
મોદીએ કહ્યું કે આ માત્ર સુરક્ષા દળોની બહાદુરીનો પરિણામ નથી, પરંતુ લોકસહભાગ અને વિકાસમૂખી નીતિઓની જીત છે. “અમે નક્સલવાદને માત્ર ગોળીથી નહીં, પરંતુ વિકાસના માર્ગથી હરાવ્યો છે. અર્બન નક્સલવાદી વિચારોને પણ દેશના મનમાંથી દૂર કરવા સફળ રહ્યા છીએ,” એમ મોદીએ જણાવ્યું.
વડા પ્રધાનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારે આંતરિક સુરક્ષા અને નક્સલવાદના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દાયકામાં નક્સલવાદી હિંસાની ઘટનાઓમાં 80% સુધી ઘટાડો નોંધાયો છે.
રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં વડા પ્રધાને દેશના સુરક્ષા દળોને અભિનંદન આપતાં કહ્યું કે “સરદાર પટેલની જેમ આજે પણ આપણે રાષ્ટ્રીય એકતાને અખંડ રાખવા પ્રતિબદ્ધ છીએ. જે શક્તિઓ ભારતને વિભાજિત કરવા માંગે છે, તેઓ સામે આપણે સમૂળે ઉભા રહીશું.”





















