PM નરેન્દ્ર મોદીએ મહેસાણાના બહુચરાજીમાં હાંસલપુર ખાતે મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'ને લોન્ચિગ કરી હતી. સાથો સાથ હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડ્સ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે PM મોદી કહ્યું કે, ''આજથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવશે. આજનો દિવસ ભારત અને જાપાનની ફ્રેન્ડશિપને નવો આયામ આપે છે''.
''મારૂતિ સુઝુકી નવી પાંખો ફેલાવશે''
PM મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, ''હું તમામ દેશવાસીઓ અને મારુતિ સુઝુકીને અભિનંદન પાઠવું છું. એક પ્રકારે ટીનએજ સપનાઓને પાંખ આપવાનો કાળખંડ હોય છે. એક પ્રકારે પગ જમીન પર હોતા નથી. મને ખુશી છે કે, આજે મારૂતિ ટીનએજમાં પ્રવેશી રહ્યું છે. ગુજરાત અને મારુતિનો ટીનએજમાં પ્રવેશ એટલે આગામી દિવસોમાં મારૂતિ નવી પાંખો ફેલાવશે''
''ભારતમાં બેટરીની આયાત કરવી પડતી હતી, પરંતુ...''
તેમણે કહ્યું કે, ''એક સમયે હતો કે, ભારતમાં બેટરીની આયાત કરવી પડતી હતી, પરંતુ EV નિર્માણ માટે ભારત બેટરીનું નિર્માણ કરે એટલે એ વિઝન હતું, જેના પગલે 2017માં અમે ટીડીએસજી બેટરી નિર્માણનો પાયો નાંખ્યો હતો. જેમાં ત્રણ કંપની મળીને બેટરીનું ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરશે. જેનાથી ઇવીના વેપારમાં ખૂબ તેજી આવશે. થોડા વર્ષ પહેલાં ઇવીને માત્ર એક નવા વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો. પરંતુ મારું માનવું છે કે, ઇવી અનેક સમસ્યાનું નક્કર સમાધાન છે''





















