વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલંબોની મુલાકાત લીધી હતી. જ્યાં શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીથા હેરાથ, સ્વાસ્થ્ય મંત્રી નલિંદા જયતિસા અને ફિશરીઝ મંત્રી રામલિંગમ ચંદ્રશેખર સહિત પાંચ ટોચના મંત્રીઓ તેમનું વિશેષ સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા સ્ક્વેર ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. શ્રીલંકાની આ તેમની ચોથી મુલાકાત હતી. આ વખતે પીએમ મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું. આ શ્રીલંકા સરકારનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે જે વિદેશી મહાનુભાવોને આપવામાં આવે છે જેમણે શ્રીલંકા સાથે વિશેષ મિત્રતા જાળવી રાખી છે.
શ્રીલંકન સરકારનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરવા પર પીએમ મોદીએ કહ્યું કે આ સન્માન 140 કરોડ ભારતીયોનું છે. તે શ્રીલંકા અને ભારત વચ્ચેની ગાઢ મિત્રતા અને વહેંચાયેલ મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ સન્માન એ વાતની પુષ્ટિ કરે છે કે ભારત માત્ર પાડોશી જ નથી પરંતુ "સાચો મિત્ર" છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે માત્ર રાજદ્વારી સંબંધો જ નહીં, પરંતુ પાયાના વિકાસના પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે શ્રીલંકાના ખેડૂતોને ભારત તરફથી સીધો સહયોગ મળશે. તેમણે ભારતીય મૂળના તમિલ (IOT) સમુદાય માટે રૂ. 10,000 કરોડની આવાસ અને સામાજિક યોજનાઓની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, તેમણે શ્રીલંકા સરકાર સાથે નવા કરારો પર હસ્તાક્ષર કર્યા, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ કનેક્ટિવિટી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
અનેક કરાર પર હસ્તાક્ષર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ શનિવારે (5 એપ્રિલ) પ્રથમ વખત સંરક્ષણ સહયોગ પર મહત્વાકાંક્ષી કરાર પર હસ્તાક્ષર કર્યા. બંને પક્ષોએ ત્રિંકોમાલીને ઉર્જા હબ તરીકે વિકસાવવા માટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. શ્રીલંકાના પૂર્વીય ક્ષેત્રને નવી દિલ્હીની બહુ-ક્ષેત્ર અનુદાન સહાય પૂરી પાડવા માટે અન્ય એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દિસનાયકેએ ડિજિટલ માધ્યમથી સામાપુર સોલર એનર્જી પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
ભારતે શ્રીલંકાને મદદ કરી
વડાપ્રધાનની શ્રીલંકાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ ટાપુ દેશ આર્થિક સંકટમાંથી બહાર આવવાના સંકેત દેખાઈ રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા શ્રીલંકા મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને ભારતે તેને 4.5 બિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપી હતી. PM મોદી અને રાષ્ટ્રપતિ દિસનાયકે 6 એપ્રિલે ઐતિહાસિક શહેર અનુરાધાપુરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરશે. બંને નેતાઓ અનુરાધાપુરામાં ભારતના સહયોગથી તૈયાર કરાયેલા બે પ્રોજેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.






