PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતોને વાર્ષિક ₹6,000ની આર્થિક સહાય મળે છે. પરંતુ ઘણા ખેડૂતોને એક મહત્વનો સવાલ છે – શું એક જ પરિવારમાં બે કે વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે? સરકારના સ્પષ્ટ નિયમો અનુસાર જવાબ છે – ના!
PM-Kisanમાં ‘પરિવાર’ની વ્યાખ્યા શું છે?
સરકાર મુજબ એક પરિવારનો અર્થ છે – પતિ, પત્ની અને તેમના સગીર બાળકો. આ યોજનો પરિવાર દીઠ છે, વ્યક્તિ કે જમીન રેકોર્ડ દીઠ નથી. જો પતિ અને પત્ની બંને અલગ-અલગ અરજી કરીને લાભ લેતા હોય તો તેને છેતરપિંડી ગણવામાં આવે છે. આવા કિસ્સામાં માત્ર આગામી હપ્તા જ નહીં, પરંતુ અત્યાર સુધી મળેલી સંપૂર્ણ રકમ પણ વસૂલ કરવામાં આવી શકે છે.
કોણ લાભ લઈ શકે છે અને કોણ અયોગ્ય?
ફક્ત એક જ વ્યક્તિ પરિવાર તરફથી અરજી કરી શકે છે.
જો પરિવારનો કોઈ સભ્ય આવકવેરો ભરતો હોય અથવા સરકારી નોકરીમાં હોય તો આખો પરિવાર અયોગ્ય ગણાય છે.
જમીન જો કોઈ સંસ્થા, ટ્રસ્ટ કે મંદિરના નામે હોય તો તેના ખેડૂતને લાભ મળશે નહીં.
ખાસ કિસ્સાઓ જ્યાં અલગ અરજી શક્ય છે
પુખ્ત પુત્ર/પુત્રી (18 વર્ષથી ઉપર) જો તેમના નામે અલગ ખતૌની (જમીન રેકોર્ડ) હોય તો તેઓ અલગથી અરજી કરી શકે છે.
ભાઈઓ અલગ અલગ રહેતા હોય અને તેમના અલગ મહેસૂલ રેકોર્ડ તથા અલગ રેશન કાર્ડ હોય તો બંને સ્વતંત્ર રીતે પાત્ર છે.
પિતાના મૃત્યુ પછી જમીન કાયદેસર રીતે બાળકોના નામે ટ્રાન્સફર થઈ ગઈ હોય તો તેઓ અલગ અરજી કરી શકે છે.
લાભનો દુરુપયોગ કરશો તો શું થશે?
આધાર સીડિંગથી પકડાઈ જવા પર અગાઉની બધી ચૂકવણી વસૂલ કરવામાં આવશે.
ખોટી માહિતી આપનારને યોજનામાંથી કાયમી બાકાત કરી શકાય છે.
ઇરાદાપૂર્વક હકીકત છુપાવવી કે ખોટા દસ્તાવેજો આપવાથી કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.





