23rd Instalment of PM-KISAN: દેશના કરોડો ખેડૂતો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના (PM-KISAN) 23મા હપ્તાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં ₹2000 નો આગામી હપ્તો જમા કરાવવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જેનાથી ખરીફ પાકની વાવણીના આ સમયે ખેડૂતોને મોટી આર્થિક રાહત મળશે.
20 જૂન 2026ના રોજ જાહેર થશે 23મો હપ્તો
પીએમ કિસાન યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ 'X' (ટ્વિટર) પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂન 2026ના રોજ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. આ વખતે વડાપ્રધાન પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી આ હપ્તો રિલીઝ કરશે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી સીધી જ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
દર વર્ષે મળે છે ₹6000ની આર્થિક સહાય
ઉલ્લેખનીય છે કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000-2,000 ના ત્રણ સમાન હપ્તામાં સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. આ પહેલાં, યોજનાનો 22મો હપ્તો 13 માર્ચના રોજ આસામના ગુવાહાટીથી જાહેર કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીનો પ્રભાવશાળી આંકડો
સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, આ યોજના દેશના ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અત્યાર સુધીના 22 હપ્તાઓમાં ખેડૂતોને ₹4.28 લાખ કરોડથી વધુની આર્થિક સહાય સીધી તેમના ખાતામાં ચૂકવવામાં આવી છે. આ યોજનાનો લાભ 2.17 કરોડથી વધુ મહિલા લાભાર્થીઓને મળ્યો છે, જેમના ખાતામાં અત્યાર સુધીમાં ₹1.10 લાખ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાઈ છે.
જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો, તો 23મો હપ્તો મેળવવામાં કોઈ અડચણ ન આવે તે માટે તમારા બેંક ખાતાનું e-KYC અને બેંક આધાર સીડિંગ (Aadhar Seeding) પ્રક્રિયા પૂર્ણ છે કે નહીં તે પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ પર જઈને ચોક્કસ તપાસી લેવું.





