ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ રાજ્યભરમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આવા સમયે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. કાઉન્સિલે સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાત અથવા રાજ્ય બહારની કોઈપણ ફાર્મસી કોલેજમાં પ્રવેશ લેતા પહેલાં તે સંસ્થાને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) દ્વારા માન્યતા પ્રાપ્ત છે કે નહીં તેની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. જો વિદ્યાર્થીઓ માન્યતા વગરની સંસ્થામાં પ્રવેશ લેશે તો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ તેમને ફાર્માસિસ્ટ તરીકેનું કાયદેસરનું રજિસ્ટ્રેશન મળી શકશે નહીં.
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે જણાવ્યું છે કે ફાર્મસી અધિનિયમ-1948 હેઠળ કાઉન્સિલની કામગીરી કાયદાકીય જોગવાઈઓ મુજબ કરવામાં આવે છે. તેથી ફાર્મસી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ માત્ર એડમિશન મેળવવાની ઉતાવળ ન કરતાં તમામ નિયમો અને માન્યતાઓની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ લેવો જોઈએ. કાઉન્સિલના જણાવ્યા અનુસાર ડિપ્લોમા ઇન ફાર્મસી (D.Pharm) અને બેચલર ઓફ ફાર્મસી (B.Pharm) જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી અથવા મેથેમેટિક્સ વિષયો સાથે પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે. જો કોઈ વિદ્યાર્થી અમાન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરીને ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવશે તો અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં.
માન્યતા વગરની કોલેજમાં પ્રવેશ લેવાનો મોટો ખતરો
દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અનેક વિદ્યાર્થીઓ આકર્ષક જાહેરાતો અથવા એજન્ટોના પ્રભાવમાં આવીને માન્યતા વગરની સંસ્થાઓમાં પ્રવેશ લઈ લેતા હોય છે. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે આવી પરિસ્થિતિથી બચવા ખાસ અપીલ કરી છે. કાઉન્સિલે જણાવ્યું છે કે પ્રવેશ પહેલાં સંબંધિત કોલેજને PCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે નહીં તેની સત્તાવાર વેબસાઇટ પર ચકાસણી કરવી અનિવાર્ય છે.
આ ઉપરાંત દરેક કોલેજ માટે PCI દ્વારા મંજૂર કરાયેલી બેઠકોની સંખ્યા પણ નક્કી કરવામાં આવે છે. જો કોઈ સંસ્થા મંજૂર ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે તો તેવા વધારાના પ્રવેશને પણ કાયદેસર માન્યતા મળતી નથી. આવા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રજિસ્ટ્રેશન મેળવવામાં ગંભીર મુશ્કેલી પડી શકે છે.
આ પણ વાંચો: સાવરકુંડલાને મળ્યું નર્મદાનું અમૃતજળ : સુકાનેરા ડેમ સુધી પહોંચ્યા નીર, અષાઢી બીજે વરસાદથી ખુશી બમણી






