Mansukh Sagathia : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા અને અન્ય બે વ્યક્તિઓ સામે PMLA એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. અમદાવાદની સ્પેશિયલ PMLA કોર્ટમાં ED દ્વારા પ્રોસિક્યુશન કમ્પ્લેન (PC) દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી રાજકોટ ACB દ્વારા દાખલ કરાયેલી અપ્રમાણસર મિલકતની ફરિયાદના આધારે શરૂ થઈ હતી.
સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા સામે PC દાખલ
ED ની તપાસ દરમિયાન મનસુખ સાગઠિયા પાસે થી રૂ. 24.31 કરોડની અપ્રમાણસર મિલકત મળ્યાનું બહાર આવ્યું હતું. સાગઠિયાની પત્ની અને પુત્રના નામે રોકડમાં નિયમિત RD થાપણો પણ કરાયેલા હોવાનું ED તપાસમાં સામે આવ્યું છે. આ RDમાં રાખવામાં આવેલા નાણાનો ઉપયોગ તેઓએ સ્થાવર મિલકતોની ખરીદીમાં કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, સાગઠિયાએ POC (Proceeds of Crime) એટલે કે ગુનાહિત આવકમાંથી મળેલા નાણાંનો ઉપયોગ સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કરવા કર્યો હતો.
કરોડો રૂપિયાની મિલકતો જપ્ત
ED એ મનસુખ સાગઠિયા અને પરિવારની કુલ ₹21.61 કરોડની જંગમ-સ્થાવર મિલકતો જપ્ત કરી છે. સાથે જ વિદેશી ચલણ, મોંઘી ઘડિયાળ, સોના-ચાંદીના આભૂષણો સહિતની મૂલ્યવાન વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. ED હવે આ સમગ્ર નાણાકીય હેરાફેરીની વધુ તપાસમાં લાગી છે.






