ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનું સુખદ સમાધાન!
આ કાર્યક્રમનું ખાસ આકર્ષણ લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનું સુખદ સમાધાન રહ્યું. લાંબા સમયથી ચાલતા મતભેદો અને મનભેદોને અંત આપતા, બંને આગેવાનો ખોડલધામ ખાતે એક મંચ પર જોવા મળ્યા હતા. જયેશ રાદડિયાની કાર્યક્રમમાં હાજરીથી સમાજમાં સકારાત્મક સંદેશો ફેલાયો હતો અને માનવામાં આવે છે કે હવે તમામ જૂના ગેરસમજો દૂર થઈ ગયા છે.
કાગવડમાં લેઉવા પટેલ મંત્રીઓનું સન્માન સમારોહ
કાગવડ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સન્માન સમારોહે લેઉવા પટેલ સમાજમાં એકતા, સહકાર અને નવી શરૂઆતનો સંદેશ આપ્યો હતો. સમાજના મંત્રીઓનું સન્માન અને અગ્રણીઓ વચ્ચેનું સમાધાન–બન્ને ઘટનાઓ સમગ્ર પાટીદાર સમાજ માટે મહત્વપૂર્ણ ક્ષણો બની રહી.






