ગુજરાતમાં ભાગેડું લગ્ન પ્રથાને લઈ અનેકવાર વિરોધના સૂર ઉઠ્યા છે. મહેસાણા હોય કે, બોટાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ મુદ્દે વિવિધ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી ચુકી છે. ત્યારે આ મુદ્દો દિવસેને દિવસે વધુ ચર્ચાતો બની રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આજે પાટીદાર સમાજના અગ્રણીઓ ફરી એકવાર મેદાન આવ્યા છે. આજે ગાંધીનગરમાં પાટીદાર સમાજના યુવા આગેવાનો ભાગેડુ લગ્ન પ્રથા સંબંધિત મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા સચિવાલયે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત
પાટીદાર આગેવાનો દિનેશ બાંભણિયા, SPG પ્રવક્તા પૂર્વીન પટેલ, વરુણ પટેલ સહિતના નેતાઓએ પાટીદાર ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાઓના આધારે આ મુદ્દે સરકારને માહિતગાર કરવા આ મુલાકાત લીધી હતી. તેઓ નાયબ મુખ્યમંત્રી તેમજ કાયદા પ્રધાન સાથે મળીને ભાગેડુ લગ્ન પ્રથામાં જરૂરી સુધારાઓ કરવા માટે વિગતવાર રજૂઆત કરશે.
અસરકારક કાનૂની પગલાં લેવા માંગ
પાટીદાર સમાજે આ વિષય પર અગાઉ પણ અનેક મંત્રણાઓ કરી હતી, અને સમાજમાં વધતી સમસ્યાઓનું સ્થાયી સમાધાન લાવવા યુવા આગેવાનો દ્વારા સરકાર પાસે અસરકારક કાનૂની પગલાં લેવા માંગ ઉઠાવવામાં આવી છે.






