છોટાઉદેપુર જિલ્લાની પરંપરાગત પિથોરા કલાએ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. જિલ્લાના કવાંટના વતની અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર પરેશ રાઠવાનું રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. આ સિદ્ધિથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.
દેશના પસંદગીના 13 કલાકારોમાં સ્થાન
રાષ્ટ્રપતિ ભવન ખાતે ગત 14થી 23 એપ્રિલ દરમિયાન એક વિશેષ 'રેસિડેન્સિયલ વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપની ખાસિયત એ હતી કે તેમાં સમગ્ર દેશમાંથી માત્ર 13 કલાકારોની જ પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ગોવા, લદાખ અને તેલંગાણા જેવા રાજ્યોના પ્રતિભાશાળી કલાકારો સામેલ હતા. આ ગૌરવશાળી યાદીમાં છોટાઉદેપુરના પદ્મશ્રી પરેશ રાઠવાએ સ્થાન મેળવીને જિલ્લાની આદિવાસી કલાની તાકાતનો પરિચય કરાવ્યો હતો.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો 'લોહિયાળ' વળાંક : મહેસાણામાં ભાજપ ઉમેદવાના ભાણાનો તીક્ષ્ણ હથિયાર વડે કરૂણ અંત!
રાષ્ટ્રપતિએ કલાને નિહાળી અને બિરદાવી
વર્કશોપ દરમિયાન 15થી 23 એપ્રિલ સુધી પરેશ રાઠવાએ પોતાની અનોખી શૈલીમાં પિથોરા ચિત્રકલાનું સર્જન કર્યું હતું. વર્કશોપના સમાપન દિવસે, એટલે કે 23 એપ્રિલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યક્તિગત રીતે દરેક કલાકારની મુલાકાત લીધી હતી. તેમણે પરેશ રાઠવાએ તૈયાર કરાયેલ પિથોરા કલાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને આ પ્રાચીન કલાને જીવંત રાખવા બદલ તેમની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં 7 વર્ષના બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ : સ્થાનિકોએ આરોપીને પકડીને જાહેરમાં 'મોર' બોલાવ્યો
સ્મૃતિ ભેટ આપી કરાયું સન્માન
કાર્યક્રમના અંતે રાષ્ટ્રપતિએ તમામ કલાકારોને ખાસ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. પદ્મશ્રી પરેશ રાઠવાએ જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ભવન જેવા પ્રતિષ્ઠિત સ્થળે રહીને પોતાની કલાનું પ્રદર્શન કરવું અને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મેળવવુંએ માત્ર મારા માટે જ નહીં, પણ સમગ્ર છોટાઉદેપુર અને પિથોરા કલાના ચાહકો માટે ગૌરવની ક્ષણ છે."
છોટાઉદેપુરની ધરતી પરથી ઉતરી આવેલી આ કલા આજે દેશના સર્વોચ્ચ ભવન સુધી પહોંચી છે, જે આદિવાસી સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે ખૂબ જ મહત્વનું પાસું માનવામાં આવી રહ્યું છે






