રાજ્ય સરકારે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે, જે મુદ્દે પાલ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યો છે. તેમણે કહ્યું કે, ''મુખ્યમંત્રી અને કેબિનેટે ગ્રાઉન્ડ લેવલે તપાસ કર્યા વગર જ જાહેરાત કરી છે, 10 કલાક વીજળી આપવાની તો વાત દૂર રહી 8 દિવસમાં કુલ 8 કલાક વીજળી મળતી નથી, મુખ્યમંત્રીએ 10 કલાક વીજળી આપવાની નહી પણ દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદા પાછા ખેંચતી પ્રેસ કોંફરન્સ કરવી જોઈએ.
''ચેકિંગ માટે ગાડી સ્ટાફ છે તો ફરિયાદ નિવારણ માટે કેમ નહી?''
પાલ આંબલિયાએ કહ્યું કે, ''ખેડૂતોને જ્યારે જરૂર છે ત્યારે જ વીજળી ન મળતી હોવાની ફરિયાદ કરી છે. ચેકીંગ માટે ગાડી સ્ટાફ છે તો ફરિયાદ નિવારણ માટે કેમ નહી ? વધુમાં કહ્યું કે, જે ફીડરમાં 100TC ની કેપેસિટી હોય ત્યાં 1000TC આપી દીધા છે. એક ફીડરમાં 10 કિલોમીટરની કેપેસિટી હોય ત્યાં 100 કિલોમીટરની લાઈનો પાથરી દીધી છે. આ તો સારું થયું કે એવી જાહેરાત ન કરી કે અમે દિવસ રાતમાં 25 કલાક વીજળી આપીશું''
''દોઢ લાખ મેટ્રિક ટન ખાતર ગુજરાતને ઓછું આપવામાં આવ્યું''
ખાતરની અછત મુદ્દે પાલ આંબલિયાએ કહ્યું કે, ''કેન્દ્ર સરકારનો ગુજરાતના ખેડૂતોને હળહળતો અન્યાય છે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવામાં આવ્યુ છ, જુલાઈ મહિના સુધીમાં દોઢ લાખ મેટ્રિક ટન ખાતર ગુજરાતને ઓછું આપવામાં આવ્યું છે. યોગ્ય સમયે ખાતર ન મળવાના કારણે ગુજરાતના ખેડૂતોને નુકશાની ભોગવવી પડી રહી છે. કેન્દ્ર સરકારના પાપે ગુજરાત ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગે છે. ડબલ એન્જીન સરકારે ગુજરાતને મળવાપાત્ર હક્કનું ખાતર પણ ન આપ્યું અને કેન્દ્ર સરકાર ગુજરાતના હિસ્સાનું ખાતર ખાઈ ગઈ''






