Boycott on India Vs Pakistan Match: પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની મેચ (15 ફેબ્રુઆરી, કોલંબો) બહિષ્કારવાના નિર્ણય પરથી સંપૂર્ણ યુ-ટર્ન લીધો છે. પાકિસ્તાન સરકારે મોડી રાત્રે આધિકારિક નિવેદન જારી કરીને ટીમને મેચ રમવાનો નિર્દેશ આપ્યો છે. આ મેચ હવે નિયત સમયે R. Premadasa Stadiumમાં રમાશે અને ક્રિકેટના ચાહકો માટે આ સૌથી મોટી રાહત છે.
યુ-ટર્ન કેવી રીતે આવ્યો?
આ નાટકની શરૂઆત બાંગ્લાદેશના મુદ્દાથી થઈ. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL 2026માંથી (કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી) બહાર કરવામાં આવ્યા પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સુરક્ષા ચિંતાઓને કારણે ભારતમાં મેચ રમવાનો ઈનકાર કર્યો. ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બાકાત કરીને તેમની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કર્યું અને BCB પર કોઈ દંડ ન લગાવ્યો. આના પર પાકિસ્તાને "ડબલ સ્ટાન્ડર્ડ"નો આરોપ લગાવીને બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામેની મેચ બહિષ્કારવાની જાહેરાત કરી.
BCBએ પોતે પાકિસ્તાનને વિનંતી કરી
પરંતુ આ નિર્ણય પછી ICC, PCB અને BCB વચ્ચે લાહોરમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થઈ. BCBએ પોતે પાકિસ્તાનને વિનંતી કરી કે મેચ રમવી જોઈએ, કારણ કે તે ક્રિકેટના હિતમાં છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ફોન પર વાત કરી, જેમણે પણ મેચ રમવાની અપીલ કરી. આ તમામ મિત્ર દેશોની વિનંતી અને ક્રિકેટની ભાવના તેમજ વૈશ્વિક રમતની સાતત્યતાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે યુ-ટર્ન લીધો.
સરકારનું નિવેદન:
પાકિસ્તાન સરકારે કહ્યું કે આ નિર્ણય "મલ્ટીલેટરલ ચર્ચાઓના પરિણામો અને મિત્ર દેશોની વિનંતી"ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેઓએ "મેન ઇન ગ્રીન"ને શુભેચ્છાઓ પણ પાઠવી છે.આખરે, આ બધું નાટક ક્રિકેટના હિતમાં ઉકેલાયું અને ભારત-પાકિસ્તાનની મેગા મેચ હવે પૂરેપૂરી તૈયાર છે!




















