India and Pakistan match in T20 World Cup : ક્રિકેટ જગત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15 ફેબ્રુઆરીએ રમાવા જઈ રહી છે. લાહોરથી મળતા રિપોર્ટ્સ મુજબ, આ મેચ યોજવા અંગેની શક્યતાઓ અત્યંત પ્રબળ બની છે. આજે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. જોકે, આ સમગ્ર વિવાદમાં આઈ.સી.સી. (ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કેટલીક વિવાદાસ્પદ શરતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે.
બાંગ્લાદેશ બહાર અને સ્કોટલેન્ડની એન્ટ્રી : વિવાદનું મૂળ
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં મેચ રમવાનો ઈન્કાર કર્યો હતો. આઈસીસીએ આ કારણને અયોગ્ય ગણાવી બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે અને તેના સ્થાને સ્કોટલેન્ડની ટીમને એન્ટ્રી આપી છે. બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી હતી, પરંતુ આઈસીસીએ પાકિસ્તાન બોર્ડને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો તેઓ મેચ નહીં રમે તો તેમના પર આકરા પ્રતિબંધો અને જંગી નાણાકીય દંડ થઈ શકે છે.
એશિયન ક્રિકેટ બોર્ડ્સનું દબાણ : આર્થિક હિત સૌથી ઉપર
છેલ્લા 24 કલાકમાં ક્રિકેટ જગતમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. બાંગ્લાદેશ, શ્રીલંકા અને યુ.એ.ઈ.ના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન પર દબાણ વધાર્યું છે. આ દેશોનું માનવું છે કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ નહીં રમાય તો પ્રસારણ (Broadcasting) અને રેવન્યુમાં મોટું નુકસાન થશે, જેની સીધી અસર તમામ એશિયન દેશોના ક્રિકેટ બજેટ પર પડશે. શ્રીલંકાના પ્રમુખે પણ પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી મેચ રમવા વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાન બોર્ડની 4 મુખ્ય શરતો અને આઈસીસીનો રૂખ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ આ વિવાદને ઉકેલવા માટે કેટલીક શરતો રજૂ કરી હતી:
બાંગ્લાદેશને વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે મળતી રકમ પૂરી આપવી.
ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે tri-series નું સિરીઝનું આયોજન કરવું.
ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ કરવી.
મેચ દરમિયાન બંને ટીમના કેપ્ટન સત્તાવાર રીતે હાથ મિલાવે તેવી માંગ.
જોકે, આઈસીસીએ દ્વિપક્ષીય સિરીઝ અને હાથ મિલાવવાની શરતોને ફગાવી દીધી છે, કારણ કે, દ્વિપક્ષીય સિરીઝનો નિર્ણય જે-તે દેશની સરકાર લેતી હોય છે, આઈસીસી નહીં.
આજે લેવાશે આખરી નિર્ણય
પીસીબી ચેરમેન મોહસિન નકવી હવે શ્રીલંકા, બાંગ્લાદેશ અને યુ.એ.ઈ. બોર્ડની ઈચ્છાઓ અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફને બ્રિફ આપશે. મોટે ભાગે આજે સાંજ સુધીમાં એ સ્પષ્ટ થઈ જશે કે, 15 ફેબ્રુઆરીએ મેદાનમાં ભારત અને પાકિસ્તાન સામસામે હશે કે નહીં. ક્રિકેટ ફેન્સ માટે આ સારા સમાચાર છે કે, આર્થિક અને આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ પાકિસ્તાન મેચ રમવા માટે તૈયાર થાય તેવી પૂરી સંભાવના છે.




















