Lahore: પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લાહોરમાં ઘણી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે, જેમાં કેટલીક ઇસ્લામિક જગ્યાઓના નામ બદલીને તેમને હિન્દુ નામ આપવામાં આવ્યા છે. જે જગ્યાઓના નામ બદલાયા છે, તેમાં રસ્તાઓ, શેરીઓ અને માર્ગો (ગલીઓ) સામેલ છે. વાસ્તવમાં, ભાગલાના લગભગ આઠ દાયકા પછી, લાહોરમાં હવે રસ્તાઓ, શેરીઓ અને માર્ગોને હિન્દુ, શિખ, જૈન અને વસાહતી (બ્રિટિશ) કાળના જૂના નામો પાછા આપવામાં આવી રહ્યા છે. આમાંથી ઘણા નામો અગાઉ ઇસ્લામી, પાકિસ્તાની અથવા સ્થાનિક હસ્તીઓના નામ પર રાખવામાં આવ્યા હતા.
ઇસ્લામપુરાનું નામ બદલીને કૃષ્ણ નગર કરાયું
'ઇસ્લામપુરા'નું નામ બદલીને ફરીથી 'કૃષ્ણ નગર' કરી દેવામાં આવ્યું છે. 'બાબરી મસ્જિદ ચોક'નું નામ બદલીને 'જૈન મંદિર ચોક' કરવામાં આવ્યું છે. 'સુન્નત નગર' હવે 'સંત નગર' બની ગયું છે. અહેવાલો અનુસાર, 'મુસ્તફાબાદ'નું નામ પણ બદલીને ફરીથી 'ધરમપુરા' કરી દેવામાં આવ્યું છે.
લાહોરમાં જગ્યાઓના નામ શા માટે બદલાઈ રહ્યા છે?
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની પંજાબ સરકાર લાહોરના ભાગલા પહેલાના વારસાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબ સરકારના એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ને જણાવ્યું કે, "થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી મરિયમ નવાઝની અધ્યક્ષતામાં મળેલી પંજાબ કેબિનેટની બેઠકમાં લાહોર અને તેની આસપાસના વિસ્તારોના વિવિધ રસ્તાઓ અને શેરીઓના મૂળ તેમજ ઐતિહાસિક નામોને પુનઃસ્થાપિત કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી." છેલ્લા 2 મહિનામાં લાહોરના ઘણા ભાગોમાં જૂના નામોવાળા નવા સાઈનબોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. 9 જગ્યાઓને તો સત્તાવાર રીતે તેમના જૂના નામો પાછા મળી ગયા છે. જેમાં લક્ષ્મી ચોક (જેનું નામ બદલીને મૌલાના ઝફર અલી ખાન ચોક કરવામાં આવ્યું હતું), ડેવિસ રોડ (જે સર આગા ખાન રોડ બની ગયો હતો) અને ક્વીન્સ રોડ (જે ફાતિમા જીન્ના રોડ તરીકે ઓળખાતો હતો) સામેલ છે.
કયા કયા નામોમાં થયો ફેરફાર?
લાહોરમાં બદલાયેલા કેટલાક મુખ્ય નામો આ પ્રમાણે છે:
ઇસ્લામપુરા → કૃષ્ણ નગર
સુન્નત નગર → સંત નગર
બાબરી મસ્જિદ ચોક → જૈન મંદિર ચોક
મુસ્તફાબાદ → ધરમપુરા
મૌલાના જફર અલી ખાન ચોક → લક્ષ્મી ચોક
રહમાન ગલી → રામ ગલી
હમીદ નિઝામી રોડ → ટેમ્પલ સ્ટ્રીટ
ફાતિમા જિન્નાહ રોડ → ક્વીન્સ રોડ
બાગ-એ-જિન્નાહ → લોરેન્સ ગાર્ડન
વાસ્તવમાં, ભાગલા પહેલા લાહોરમાં પંજાબી સંસ્કૃતિ વ્યાપકપણે જોવા મળતી હતી, પરંતુ ભાગલા પછી આ ક્ષેત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું. 1947ની હિંસા દરમિયાન મોટાભાગના હિન્દુ અને શિખ પરિવારો કાં તો નાસી ગયા અથવા તેમને બળજબરીથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ હિન્દુ નામોનું ઇસ્લામીકરણ કરી દેવામાં આવ્યું હતું. કૃષ્ણ નગર 'ઇસ્લામપુરા' બની ગયું, ધરમપુરા 'મુસ્તફાબાદ' બની ગયું અને જૈન મંદિર રોડ 'બાબરી મસ્જિદ ચોક'માં ફેરવાઈ ગયો હતો.
કેમ લેવાયો આ નિર્ણય?
અહેવાલો મુજબ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ‘લાહોર હેરિટેજ એરિયા રિવાઇવલ’ પ્રોજેક્ટ હેઠળ આ અભિયાન શરૂ થયું છે. હાલ પંજાબ પ્રાંતની મુખ્યમંત્રી મરિયમ નવાઝ આ પહેલને આગળ ધપાવી રહ્યા છે. આ પ્રોજેક્ટનો હેતુ લાહોરના પ્રાચીન ઐતિહાસિક સ્વરૂપને ફરી સ્થાપિત કરવાનો છે. પંજાબ સરકારના અધિકારીઓએ જણાવ્યું કે શહેરની બહુસાંસ્કૃતિક ઓળખ જેમાં હિંદુ, સીખ, જૈન, પારસી અને બ્રિટિશ સમયના પ્રભાવનો સમાવેશ થાય છે, તેને ફરી માન્યતા આપવા પ્રયાસ થઈ રહ્યો છે. લાહોર એક સમય અખંડ પંજાબનું મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કેન્દ્ર હતું. 1947ના વિભાજન પહેલાં અહીં મોટી સંખ્યામાં હિંદુ અને સીખ સમુદાય વસતો હતો. વિભાજન પછી મોટા પાયે લોકો ભારત તરફ સ્થળાંતર કરી ગયા અને ત્યારબાદ અનેક વિસ્તારોના નામ ઇસ્લામિક ઓળખ પ્રમાણે બદલાયા હતા.





