ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાકિસ્તાને તેના સંરક્ષણ બજેટમાં 20% વધારો કર્યો છે. નોંધનીય છે કે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ગુસ્સે છે. આવી સ્થિતિમાં સંરક્ષણ બજેટમાં વધારો દર્શાવે છે કે તેને ભારતની તાકાત સારી રીતે ખબર પડી ગઈ છે અને હવે તેને લાગે છે કે ભારત સામે ઊભા રહેવા માટે તેને સંરક્ષણ બજેટમાં વધારો કરવાની જરૂર છે.
પાકિસ્તાને કેટલા પૈસા ફાળવ્યા
પાકિસ્તાને મંગળવારે તેના સંરક્ષણ બજેટમાં 20 ટકાનો વધારો કર્યો અને નાણાકીય વર્ષ 2025-26 માટે 2550 અબજ રૂપિયા (US$9 બિલિયન) ફાળવ્યા. નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે રાષ્ટ્રીય સભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે 17573 અબજ રૂપિયાનું સંઘીય બજેટ રજૂ કર્યું. તેમણે રાષ્ટ્રીય સભામાં નાણાકીય બિલના રૂપમાં બજેટ દસ્તાવેજ પણ રજૂ કર્યો. તેમના ભાષણમાં મંત્રીએ કહ્યું કે સરકારે દેશના સંરક્ષણ માટે 2550 અબજ રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધો છે.
તેમણે સંરક્ષણ ખર્ચ વિશે વધુ કોઈ વિગતો આપી નહીં કારણ કે પરંપરાગત રીતે સંસદમાં સંરક્ષણ બજેટની ચર્ચા થતી નથી. ગયા વર્ષે સરકારે સંરક્ષણ માટે PKR 2122 બિલિયન ફાળવ્યા હતા જે નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટમાં PKR 1804 બિલિયન કરતા 14.98 ટકાનો વધારો દર્શાવે છે.






