મહીસાગર જિલ્લાના ગૌરવરૂપ અને પદ્મશ્રીથી સન્માનિત જાણીતા સાહિત્યકાર ડૉ. પ્રવિણ દરજીને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા વર્ષના પ્રતિષ્ઠિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ જાહેરાત થતાં મહીસાગર જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતના સાહિત્યપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ ગઈ છે.
ડૉ. પ્રવિણ દરજીને વર્ષનો સર્વોચ્ચ સાહિત્ય ગૌરવ પુરસ્કાર જાહેર
ગુજરાતી સાહિત્યમાં ‘નિબંધ પુરુષ’ તરીકે ઓળખાતા ડૉ. પ્રવિણ દરજીએ કવિતા, નિબંધ, વિવેચન અને સંશોધન ક્ષેત્રે અપ્રતિમ અને અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. તેમણે અત્યાર સુધીમાં 155થી વધુ પુસ્તકોનું સર્જન કર્યું છે, જેમાંથી અનેક કૃતિઓ રાજ્ય અને દેશની વિવિધ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમના સાહિત્યકાર્યએ ગુજરાતી ભાષા અને સાહિત્યને નવી ઊંચાઈ આપી છે.
સાહિત્ય પ્રેમીઓમાં આનંદનો માહોલ
ડૉ. પ્રવિણ દરજીના ઉત્તમ સાહિત્ય સાધનાને માન્યતા આપતાં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કાર, તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ ચંદ્રક જેવા સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. હવે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મળનાર સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમના જીવનકાર્યમાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરે છે. આ પુરસ્કાર અંગે અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાંએ ડૉ. પ્રવિણ દરજીને ટેલિફોન દ્વારા જાણ કરી અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિથી મહીસાગર જિલ્લાના લોકો ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે અને સમગ્ર રાજ્યના સાહિત્ય પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.




















