Surat Patidar Daughter Kidnapping Case : સુરતમાં 7 વર્ષની નાબાલિગ દીકરીના અપહરણના મામલે પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા 35 દિવસથી દીકરી લપાતા હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લગાવી પાટીદાર સમાજ લાલઘુમ થયો છે. આ મુદ્દે સુરતના તીરુપતી સોસાયટીમાં પાટીદાર સેવા સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના આગેવાનો, કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
'...કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી'
બેઠક દરમિયાન પાટીદાર સમાજે પોલીસની કામગીરી સામે કડક નારાજગી વ્યક્ત કરી હતી. સમાજના આગેવાનોનું કહેવું છે કે, 'અપહરણ થયેલી નાબાલિગ દીકરી અંગે લોકેશન મળવા છતાં પણ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી, જે અત્યંત ગંભીર બાબત છે. પોલીસે સમયસર પગલાં લીધા હોત તો દીકરીને સુરક્ષિત રીતે પરત લાવી શકાય તેમ હતું, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પાટીદાર સમાજની બેઠક યોજાઈ
પાટીદાર સમાજ દ્વારા અપહરણના આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા અને તેના વિરુદ્ધ કડક ગુનો દાખલ કરવાની તીવ્ર માંગ કરવામાં આવી છે. આ સાથે જ, આ મામલે ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. બેઠકમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ખુલ્લેઆમ માંગ ઉઠી હતી. આ બેઠક દરમિયાન સૌરાષ્ટ્રના ગરીબ પરિવારની દીકરીના અપહરણના કેસને લઈને સમાજે સંવેદના વ્યક્ત કરી હતી અને પરિવારને આર્થિક મદદ કરવાની બાહેંધરી પણ આપવામાં આવી હતી. સાથે જ, સમાજના આગેવાનો દ્વારા યુવાનોને જાગૃત થવાની અપીલ કરવામાં આવી હતી અને આવા સામાજિક દુષણો સામે એકજૂટ થઈ લડવા માટે સંકલ્પ લેવાયો હતો.
'...ત્યાં સુધી સમાજની લડત ચાલુ રહેશે'
પાટીદાર સેવા સંઘે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી નાબાલિગ દીકરીને ન્યાય નહીં મળે અને આરોપી ઝડપાશે નહીં, ત્યાં સુધી સમાજની લડત ચાલુ રહેશે. આ ઘટનાને લઈને સુરતમાં ભારે ચર્ચા જામી છે અને આવનારા સમયમાં પાટીદાર સમાજ વધુ ઉગ્ર આંદોલન કરે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





















