ગાંધીનગર: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. અત્યાર સુધી સરકારી કર્મચારીઓને મળતી મફત તબીબી સારવાર અથવા મેડિકલ રિઈમ્બર્સમેન્ટનો લાભ માત્ર પતિ-પત્ની, બાળકો અને માતા-પિતા પૂરતો જ મર્યાદિત હતો. પરંતુ હવે સરકારે આ નિયમોમાં મોટો સુધારો કરીને કર્મચારી પર નિર્ભર એવા ભાઈ-બહેનોને પણ આ સુરક્ષા કવચમાં આવરી લીધા છે.
શું ફેરફાર કરવામાં આવ્યો?
ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમોમાં કરવામાં આવેલા આ ફેરફારથી એવા હજારો પરિવારોને આર્થિક ટેકો મળશે, જ્યાં કર્મચારીના અપરિણીત અથવા આર્થિક રીતે નબળા ભાઈ-બહેનો તેમની સાથે રહેતા હોય. સરકારના આ પગલાને મધ્યમ વર્ગીય કર્મચારીઓ માટે માંદગીના સમયે આશીર્વાદ સમાન ગણવામાં આવી રહ્યો છે. નવા નિયમો મુજબ, હવે કર્મચારીના પરિવારની વ્યાખ્યા વધુ વ્યાપક બની છે, જેનાથી તબીબી ખર્ચનો મોટો બોજ હળવો થશે.

નવી વ્યાખ્યા: 'કુટુંબ'માં કોનો કોનો સમાવેશ થશે?
રાજ્ય સરકારે વર્ષો જૂની 'કુટુંબ'ની વ્યાખ્યાને રદ કરીને તેને નવું સ્વરૂપ આપ્યું છે. નવી વ્યાખ્યા મુજબ પતિ અથવા પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન અને દત્તક સંતાનને તબીબી સારવારનો લાભ મળશે. જોકે, તેઓ કર્મચારી સાથે રહેતા હોવા જોઈએ અને તેમના પર આર્થિક રીતે આશ્રિત હોવા જોઈએ.
'નિર્ભર' કોને ગણવામાં આવશે?
ભાઈ-બહેન કે અન્ય સભ્યોને આ લાભ મળે તે માટે સરકારે આર્થિક નિર્ભરતાની શરત પણ સ્પષ્ટ કરી છે. જો પરિવારના સભ્યની તમામ સ્ત્રોતો (જેમ કે પેન્શન કે અન્ય આવક) માંથી થતી કુલ માસિક આવક રૂ.500થી વધુ ન હોય, તો જ તેઓ કર્મચારી પર 'પૂર્ણત: આશ્રિત' ગણાશે. આ મર્યાદાની અંદર આવતા સભ્યો જ સરકારી હોસ્પિટલો કે માન્ય હોસ્પિટલોમાં મફત સારવાર મેળવવા પાત્ર ઠરશે.
તાત્કાલિક અમલ: કર્મચારી સંગઠનોમાં ખુશીની લહેર
આરોગ્ય વિભાગના આદેશ મુજબ, આ નવો સુધારો તાત્કાલિક અસરથી સમગ્ર રાજ્યમાં અમલી બનાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણયની જાહેરાત થતા જ રાજ્યના વિવિધ કર્મચારી મંડળોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ખાસ કરીને સંયુક્ત પરિવારમાં રહેતા કર્મચારીઓ માટે આ નિર્ણય આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.





















