ગાંધીનગરમાં યોજાયેલી “અર્થ સમિટ 2025”ના સમાપન સમારંભમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સહકારી ક્ષેત્ર માટે મોટું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું કે હવે સહકારી બેંકોને સરકારી બેંકોની જેમ તમામ લાભ અને સુવિધા મળશે. આ નિર્ણયથી લાખો ખાતેદારો અને સહકારી બેંકના સંચાલનમાં રાહત મળશે.
અમિત શાહે જણાવ્યું હતું કે સહકારી બેંકો માટેના તમામ જરૂરી સુવિધાઓ જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI, ઑનલાઇન પેમેન્ટ ફેસિલિટીઝ હવે સરળતાથી ઉપલબ્ધ થશે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી સહકારી બેંકોના હિત અંગે RBI સાથે સતત ચર્ચા ચાલી રહી હતી, જેનો સકારાત્મક પરિણામ હવે મળ્યો છે.
RBIએ તમામ સહકારી બેંકોને એક છત નીચે લાવવાની મંજૂરી આપી છે, જેના કારણે સંકલિત નીતિઓ, પારદર્શિતા અને ગ્રાહકોને વધુ સુવિધાઓ મળી રહેવાની શક્યતા છે. આ પગલું સહકારી બેંકિંગ ક્ષેત્રને આધુનિક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 ની ઉજવણી પણ કરવામાં આવી. નાબાર્ડ દ્વારા આયોજિત “અર્થ સમિટ 2025” ત્રણ દિવસ સુધી ચાલી હતી, જેમાં સહકારિતાના વિકાસ, નાણાકીય સુધારા અને કૃષિ-સંબંધિત ચર્ચાઓ સામેલ હતી.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાલમાં 3 દિવસના ગુજરાત પ્રવાસે છે અને તેઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. આજે તેઓ અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં કુલ 11 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
સહકારી બેંકિંગ ક્ષેત્રમાં થયેલા આ મહત્વના પરિવર્તનથી દેશભરના કરોડો ખાતેદારોને સીધો લાભ મળશે અને સહકારિતાઓનો વિસ્તરણ વધુ ઝડપથી થઈ શકશે.






