અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક PCR વાન સાથે જોડાયેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ફરતી PCR વાનના ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાના સમયે આસપાસ પસાર થતા લોકો તાત્કાલિક સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ PCR વાન એક આઉટસોર્સિંગ કર્મચારી ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક રાહદારીઓએ કારચાલકને રોકી પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે ચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને કેટલાક લોકોએ ચાલકને માર માર્યાની માહિતી પણ સામે આવી છે.
સ્થળ પર હાજર રહેલા લોકોના જણાવ્યા અનુસાર PCR વાનની તપાસ દરમિયાન તેમાં દારૂની બોટલો મળી આવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જો કે, ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ શહેરમાં PCR વાહનોની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટતા થવાની સંભાવના છે.



















