સોશિયલ મીડિયા પર જૂના ટ્વીટ્સ ફરી વાયરલ થતાં એક નવો વિવાદ ઉભો થયો છે. જાણીતી કંપની Lenskart સાથે જોડાયેલા નામો હવે ચર્ચાના કેન્દ્રમાં છે. કંપનીના સહ-સ્થાપક પીયુષ બન્સલની પત્ની અને લેનસ્કાર્ટ ફાઉન્ડેશનની ચેરપર્સન નિધી મિત્તલ બન્સલનું X એકાઉન્ટ અચાનક ડીએક્ટિવેટ થવાથી મામલો વધુ ગરમાયો છે.
શું છે આખો વિવાદ?
નિધી મિત્તલ બન્સલના 2013થી 2015 વચ્ચેના કેટલાક જુના ટ્વીટ્સ ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ટ્વીટ્સમાં તેઓએ તે સમયના રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
વાયરલ થયેલા સ્ક્રીનશોટ્સ મુજબ, તેઓએ આમ આદમી પાર્ટીને સમર્થન આપતી પોસ્ટ્સ કરી હતી. જેમાં #vote4mufflerman અને #DelhiDecides જેવા હેશટેગ્સનો ઉપયોગ કરાઓ હતો. સાથે જ, કેટલાક ટ્વીટ્સમાં નરેન્દ્ર મોદી અને ભાજપ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી.
હિંદુ સંગઠનો પર પણ ટીકા
આ વાયરલ પોસ્ટ્સમાં કેટલીક ટિપ્પણીઓ એવી પણ હતી જેમાં હિંદુ સંગઠનો, હિંદુ મહાસભાનો અંગે ટીકા કરવામાં આવી હતી. આ કારણે મામલો માત્ર રાજકીય વિવાદ સુધી સીમિત રહ્યો નહીં પરંતુ ધાર્મિક સંવેદનાઓ સાથે પણ જોડાઈ ગયો જેના કારણે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ વધુ તીવ્ર બની ગઈ.
એકાઉન્ટ ડીએક્ટિવેટ
જ્યારે આ પોસ્ટ્સ ઝડપથી વાયરલ થવા લાગી, ત્યારે નિધી મિત્તલ બન્સલનું X એકાઉન્ટ (@nidhimittal13) અચાનક એક્સેસ બહાર થઈ ગયું. આથી એ સંકેત મળ્યો કે વધતા વિવાદ અને વિરોધ વચ્ચે એકાઉન્ટ ડીએક્ટિવેટ કરવામાં આવ્યું હોઈ શકે છે. હાલ સુધી આ મુદ્દે નિધી બન્સલ અથવા લેનસ્કાર્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
સોશિયલ મીડિયા પર વધતી પ્રતિક્રિયાઓ
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. કેટલાક યુઝર્સે આ મુદ્દે કડક ટીકા કરી છે, જ્યારે કેટલાક લોકોનો મત છે કે જુના ટ્વીટ્સને વર્તમાન સમયમાં ખેંચી લાવવું યોગ્ય નથી. આ વિવાદે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે. શું વર્ષો જુના સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે વ્યક્તિને આજના સમયમાં જવાબદાર ઠેરવવો જોઈએ?
આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે જાહેર જીવન સાથે જોડાયેલા લોકો માટે સોશિયલ મીડિયા પરની દરેક પોસ્ટ લાંબા ગાળે અસરકારક બની શકે છે. ભલે તે પોસ્ટ વર્ષો જૂની હોય, પરંતુ તે ફરી સામે આવે ત્યારે તેની અસર વર્તમાન પરિસ્થિતિમાં પણ જોવા મળે છે. આથી જાહેર વ્યક્તિઓએ પોતાના ડિજિટલ footprint અંગે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે.





