Anti-Corruption Bureau દ્વારા નોંધાયેલા લાંચકાંડમાં એક અઠવાડિયા બાદ મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. ચાર લાખ રૂપિયાની લાંચ લઈને ફરાર થયેલો ‘પરવાના’ નામનો વચેટિયો હજુ સુધી પકડાયો નથી, જ્યારે Surat Municipal Corporation ના સસ્પેન્ડ કરાયેલા કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા અચાનક ACB કચેરીએ હાજર થતા કેસ ફરી ચર્ચામાં આવી ગયો છે.
મળતી માહિતી મુજબ, સુરતના લિંબાયત ઝોનમાં આવેલા સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પર ચાલી રહેલા બાંધકામને લઈ 10 નવેમ્બર 2025 ના રોજ મનપા દ્વારા નોટિસ ફટકારાઈ હતી. ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ સ્થળ પર કાર્યવાહી હાથ ધરાઈ અને ડિમોલેશન ચાર્જ તરીકે અંદાજે 1.70 લાખ રૂપિયા વસૂલાયા હતા. છતાં, થોડા જ સમયમાં ડિમોલેશન પ્રક્રિયા અચાનક સ્થગિત કરાતા શંકા ઉઠી હતી.
આ વચ્ચે ‘પરવાના’ તરીકે ઓળખાતા ઉસ્માઈલ પઠાણે પ્લોટ માલિક સાથે સંપર્ક સાધી ગોઠવણની ચર્ચા શરૂ કરી હતી. આરોપ મુજબ, બાંધકામ બચાવવા શરૂઆતમાં 21 લાખ રૂપિયાની માંગણી થઈ હતી, જે વાટાઘાટ બાદ 15 લાખ રૂપિયા પર નક્કી થઈ. પ્રથમ હપ્તા તરીકે 19 ફેબ્રુઆરીએ 4 લાખ રૂપિયા આપવાના નક્કી થયા હતા.
ફરિયાદી સલાબતપુરા વિસ્તારની એક અખબાર ઓફિસે પહોંચ્યા, જ્યાં પરવાનાએ રકમ સ્વીકારી. પરંતુ શંકા જતાં જ તે રકમ લઈને બાઈક પર ફરાર થઈ ગયો. ઘટના બહાર આવતા ACB એ તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. બંને આરોપીઓના નિવાસસ્થાનો પર દરોડા પડ્યા છતાં તેઓ હાથ લાગ્યા નહોતા. છેલ્લા સપ્તાહથી ભૂગર્ભમાં હોવાની ચર્ચા વચ્ચે વિપુલ ગણેશવાલા ACB સમક્ષ હાજર થયા છે. તેમની પૂછપરછ ચાલી રહી છે અને રિમાન્ડ માટે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. બીજી તરફ, ફરાર પરવાનાની શોધખોળ તેજ બનાવાઈ છે. તપાસ આગળ વધતાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.




















