ભારત-નેપાળ સરહદ પર ચાલતા વેપાર અને ખરીદીમાં હવે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નેપાળ સરકારે કસ્ટમ નિયમો કડક બનાવતા બિહારના સરહદી બજારોનાં વેપાર પર સીધી અસર પડી છે. વેપારીઓ અને ગ્રાહકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. નેપાળે ભારતીય માલ સામાન પર કડક કસ્ટમ ડ્યુટી લગાવી છે. આ અંતર્ગત, ભારત પાસેથી ₹100થી વધુની કોઈ પણ ખરીદી પર હવે કસ્ટમ ડ્યુટી ભરવી પડશે.
શું છે નવા કસ્ટમ નિયમો
નેપાળ સરકારે સરહદ પરથી આવતા સામાન પર કસ્ટમ ડ્યૂટી અને ચકાસણી વધુ કડક કરી છે. અહીંની સ્થાનિક દુકાનોમાંથી, તેઓ કેક, બિસ્કિટથી લઈને તૈયાર કપડાં, સૌંદર્ય પ્રસાધનો, શાકભાજી, મસાલા, ફળો, દૂધ, દવાઓ, સિમેન્ટ અને ઇલેક્ટ્રિકલ સાધનો બધું જ ખરીદે છે. હવે લોકો કેટલો માલ સામન લઈને જઈ શકે તે માટે મર્યાદા વધુ કડક બનાવી દેવામાં આવી છે. પહેલાં, લોકો કર ચૂકવ્યા વગર સરહદ પર જઈને હજારો રૂપિયાનો માલ સામાન લઈ જઈ શકતા હતા પરંતુ હવે તેમણે કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. આ ખરીદેલા માલના મૂલ્યના 5થી 30 ટકા સુધી હોઈ શકે છે.
બિહાર બોર્ડર માર્કેટ પર અસર
બિહારના સરહદી વિસ્તારોમાં આવેલા બજારોમાં મોટા પ્રમાણમાં નેપાળના ગ્રાહકો ખરીદી કરવા આવતા હતા. ખાસ કરીને કપડાં, ઈલેક્ટ્રોનિક્સ અને દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી મળતી હોવાથી આ વેપાર ફૂલ્યો-ફાલ્યો હતો પરંતુ નવા નિયમો લાગુ થતાં હવે ગ્રાહકોની સંખ્યા ઘટી રહી છે જેના કારણે વેપારીઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
આ પણ વાંચો: નેપાળમાં રાજકીય ભૂકંપ : કેપી શર્મા ઓલીની ધરપકડે મચાવ્યો ખળભળાટ, Gen-Z હિંસા કેસમાં મોટી કાર્યવાહી
વેપારીઓ માટે ચિંતાજનક સ્થિતિ
બોર્ડર વિસ્તારોમાં વેપાર કરતા વેપારીઓ માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. કર લાગવાથી ગ્રાહકો વસ્તુની ખરીદી ઓછી કરે છે તેથી આવકમાં ઘટાડો થયો છે. કેટલાક વેપારીઓએ જણાવ્યું છે કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો તેમના વ્યવસાય પર ગંભીર અસર પડી શકે છે.
શું છે નેપાળ સરકારનો ઉદ્દેશ્ય?
નેપાળ સરકાર ગેરકાયદેસર આયાત અને ટેક્સ ચોરીને રોકવા માગે છે. આ સાથે જ નેપાળ સરકાર સ્થાનિક બજારોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. આ નિર્ણયથી દેશની અંદર ઉત્પાદન અને વેચાણ વધે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ભારત-નેપાળ સરહદ પર ચાલતો વેપાર હજારો લોકોની રોજગારી સાથે જોડાયેલો છે. આવા નિયમોમાં ફેરફારથી સીધી અસર અર્થતંત્ર અને રોજગારી પર પડે છે. આ સમાચાર માત્ર વેપારીઓ માટે નહીં, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે પણ મહત્વના છે કારણ કે તે તેમની ખરીદી અને ખર્ચને અસર કરે છે.






