Home Gujarat Neet Paper Leak Supreme Court Probe Demand Congress

અમદાવાદ કોંગ્રેસે NEET-UG પેપર લીકને ગણાવી રાષ્ટ્રીય આપત્તિ : સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ

ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 15, 2026, 06:42 AM IST

અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ NEET-UG પરીક્ષામાં થયેલા પેપર લીક કૌભાંડ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. મનીષ દોશીએ આ સમગ્ર ઘટનાને માત્ર એક પરીક્ષાકીય ગડબડ નહીં પરંતુ “રાષ્ટ્રીય સ્તરની આપત્તિ” ગણાવી હતી. NEET જેવી દેશની મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલી ગેરરીતિઓએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર કરી છે. અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સામેલ થયા હતા, જેમાંથી ઘણા મેધાવી વિદ્યાર્થીઓ હવે અનિશ્ચિતતા અને માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે.

મનીષ દોશીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે પેપર લીક જેવી ઘટનાઓના કારણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ દેશની આરોગ્ય વ્યવસ્થા પર પણ લાંબા ગાળાનો પ્રભાવ પડી શકે છે. “આ ઘટના ડોક્ટર્સની આખી પેઢીના સપનાઓને તોડી નાખે છે,” એમ તેમણે જણાવ્યું. તેમણે આક્ષેપ કર્યો કે પેપર લીકના કારણે મેરિટ આધારિત પસંદગી પ્રણાલી પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે. જેના કારણે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓના હક્કો છીનવાઈ રહ્યા છે અને અયોગ્ય રીતે લાભ મેળવનારાઓ આગળ વધી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટ દેખરેખ હેઠળ તપાસની માંગ

કોંગ્રેસે માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે જેથી તપાસ નિષ્પક્ષ અને પારદર્શક રીતે થઈ શકે. સાથે જ તમામ સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. મનીષ દોશીએ જણાવ્યું કે હાલની તપાસ એજન્સીઓ પર લોકોનો વિશ્વાસ ઘટ્યો છે અને તેથી સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ જરૂરી બની છે. આ સાથે જ પેપર લીક નેટવર્કમાં સામેલ દરેક વ્યક્તિ સામે સખત કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો: આરોપી દિનેશનો પુત્ર 720માંથી ફક્ત 107 ગુણના જ આપી શક્યો જવાબ : પિતાએ NEETનું પેપર 10 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું

પરીક્ષા પ્રણાલીમાં સંપૂર્ણ સુધારાની માંગ

કોંગ્રેસે માત્ર તપાસ સુધી મર્યાદિત ન રહી પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ પણ કરી છે. દોશીએ જણાવ્યું કે NEET-UG જેવી પરીક્ષાઓમાં “લીક-પ્રૂફ” અને પારદર્શક વ્યવસ્થા ઉભી કરવી હવે સમયની જરૂરિયાત છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે પરીક્ષા પ્રક્રિયામાં ટેક્નોલોજી આધારિત સુરક્ષા, પ્રશ્નપત્ર સંભાળવાની નવી પદ્ધતિ અને જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા અમલમાં મૂકવી જોઈએ.

આ પણ વાંચો: ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે સમાચાર : પૂરક પરીક્ષાની મુદતમાં વધારો

વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની માંગ

આ સમગ્ર મુદ્દે સૌથી મહત્વપૂર્ણ બાબત તરીકે વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો ગણાવવામાં આવ્યો છે. કોંગ્રેસે વડાપ્રધાનને અપીલ કરી છે કે તેઓ વ્યક્તિગત રીતે આ મુદ્દે હસ્તક્ષેપ કરે અને દેશભરના લાખો વિદ્યાર્થીઓને ન્યાય મળે તે સુનિશ્ચિત કરે. વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થા એક અધિકાર છે અને તે સુનિશ્ચિત કરવું સરકારની જવાબદારી છે, એમ દોશીએ અંતમાં ઉમેર્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now