NCC Cadets Parasailing Training: એનસીસી (NCC) ગ્રુપ જામનગરના આર્મી તથા નેવીના કુલ 594 કેડેટ્સ 14 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન કચ્છ જિલ્લાના માંડવી ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પમાં વિવિધ સાહસિક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તાલીમમાં ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પનું આયોજન 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય આકર્ષણ રૂપે પેરાસેલિંગની સાહસિક તાલીમનો સમાવેશ થાય છે.

નેતૃત્વ અને આત્મવિશ્વાસ વિકસાવવા પેરાસેલિંગ તાલીમ
કેડેટ્સમાં નેતૃત્વ, ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિસ્થાપકતા વિકસાવવાના હેતુથી આ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમાણિત અને અનુભવી ટ્રેનર્સની દેખરેખ હેઠળ કેડેટ્સને પેરાસેલિંગના મૂળભૂત સિદ્ધાંતો અંગે તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં સલામતીના પગલાં, પેરાસેલિંગ સાધનોનું યોગ્ય સંચાલન તેમજ હવાઈ નેવિગેશન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

દરિયાકિનારે ઉડાન ભરી ડરને જીતવાનો અનુભવ
આ સાહસિક પ્રવૃત્તિ દરમિયાન કેડેટ્સને માંડવીના સુંદર દરિયાકિનારા ઉપર પેરાસેલિંગ દ્વારા ઉડાન ભરવાની તક મળી રહી છે. આ અનુભવે કેડેટ્સને પોતાના ડરને દૂર કરવા, પોતાની મર્યાદાઓને અજમાવવા અને આત્મવિશ્વાસ વધારવાની અમૂલ્ય તક આપી છે. કેડેટ્સ માટે પેરાસેલિંગ તાલીમ એક રોમાંચક અને અત્યંત લાભદાયી અનુભવ સાબિત થઈ રહી છે. પેરાસેલિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ એનસીસી તાલીમનો અભિન્ન ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લશ્કરી તેમજ નાગરિક જીવન માટે જરૂરી આત્મનિર્ભરતા, શિસ્ત, હિંમત અને નેતૃત્વના ગુણો વિકસાવવાનો છે. આ તાલીમ દ્વારા કેડેટ્સમાં અનુકૂલનક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.

ગ્રુપ કમાન્ડર દ્વારા પ્રશંસા અને સન્માન
જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી. શશીએ કેડેટ્સના પ્રદર્શન અને ઉત્સાહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, પેરાસેલિંગ માત્ર સાહસિક રમત નથી પરંતુ જીવનના મહત્વપૂર્ણ કૌશલ્યો વિકસાવવાનું એક મજબૂત માધ્યમ છે. તેમણે કેમ્પ દરમિયાન પરેડનું નિરીક્ષણ કરી ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કેડેટ્સને મેડલ્સથી સન્માનિત કર્યા હતા. કેમ્પમાં પેરાસેલિંગની તાલીમ ભારતીય વાયુસેનાના સેવાનિવૃત વરિષ્ઠ અધિકારી ગ્રુપ કેપ્ટન એન. એસ. શોકીનના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ આપવામાં આવી રહી છે, જેમને પેરાસેલિંગમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. આ વાર્ષિક તાલીમ કેમ્પમાં પેરાસેલિંગ ઉપરાંત યુદ્ધકાળીન માહિતી આદાનપ્રદાન, ડ્રોન લોકેશન સ્પોટિંગ અને ઓપરેટિંગ, નાગરિક સંરક્ષણ, પ્રાથમિક સારવાર તથા સચેત નાગરિક તરીકેની ફરજો અંગેની ઉપયોગી તાલીમ પણ આપવામાં આવી રહી છે. 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે, જે એનસીસીના સૂત્ર “એકતા અને શિસ્ત”ને સાર્થક કરે છે.




















