Navsari Bilimora ride collapses: નવસારી બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાઈડ તૂટી પડતા 5 લોકો ઈજાગ્રસ્ત થયાની વિગતો સામે આવી છે, જેમાં 2 સગીર અને 2 મહિલાનો સમાવેશ થાય છે તેમજ રાઈડ સંચાલક પણ ઈજાગ્રસ્ત થયાની વિગતો સામે આવી છે. 20 ફૂટની ઊંચાઈથી રાઈડ નીચે પટકાઈ હતી. જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે
સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. રાઈડ કેમ તૂટી તેનું ચૌક્કસ કારણ સામે આવ્યું નથી. જો કે, બીલીમોરા પોલીસે હાલ તમામ રાઇડ બંધ કરાવી છે.
તંત્ર દુર્ઘટના બાદ જ કેમ જાગે છે?
અત્રે જણાવીએ કે, દર વર્ષે શ્રાવણ માસમાં સોમનાથના પૌરાણિક મેળાનું આયોજન થાય છે. જેની મંજૂરી પાલિકા આપતી હોય છે. ઉલ્લેખનીય છે કે, આ ટાવર રાઈડ તૂટી છે પરંતુ આ મેળામાં અનેક પ્રકારની રાઈડ છે જે પણ જોખમી હોવાના આક્ષેપ થયા બાદ વહીવટી તંત્રએ અન્ય રાઈડો પણ બંધ કરાવી છે. ત્યારે ફરી એકવાર સવાલો ઉભા થયા છે કે, તંત્ર દુર્ઘટના બાદ જ કેમ જાગે છે? મેળાના સંચાલકો પણ રૂપિયા કમાવવાની લ્હાયમાં રાઈડ સંચાલકોને સેફ્ટીની ચકાસણી વગર જ મંજૂરી આપી દેતા હોય તેવુ આ દુર્ઘટના પછી આક્ષેપ થઈ રહ્યા છે





















