Narmada News: નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસ વિભાગની મિલીભગતથી મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર દારૂ અને જુગારના અડ્ડાઓનો મામલો હવે રાજ્ય કક્ષાએ પહોંચ્યો છે. ભરૂચ લોકસભા બેઠકના વરિષ્ઠ અને નીડર સાંસદ મનસુખ વસાવાએ આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક સનસનાટીપૂર્ણ પત્ર લખ્યો છે. સાંસદના આ ગંભીર આક્ષેપો ભરેલા પત્રને પગલે સમગ્ર નર્મદા જિલ્લાના રાજકારણમાં અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કચ્છના ગાંધીધામ BSF કેમ્પમાં AK-47થી ફાયરિંગ : જવાનનું મોત, સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી!
ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના નામ જોગ ઉલ્લેખથી ફફડાટ
સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં કોઈ રાજકીય નેતાના નામનો સીધો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ હપ્તાખોરી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત એવા કેટલાક પોલીસકર્મીઓના નામ જોગ ઉલ્લેખ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે પત્રમાં આક્રોશપૂર્વક જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની સરહદેથી નર્મદા જિલ્લા ઉપરાંત ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર જેવા પડોશી વિસ્તારોમાં મોટા પાયે કેમિકલયુક્ત ઝેરી દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ ગેરકાયદેસર સપ્લાય રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનના PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની સંડોવણી હોવાનો તેમણે સીધો આક્ષેપ કર્યો છે, જેમાં ખાસ કરીને આમલેથા પોલીસ સ્ટેશન ની ભૂમિકા અત્યંત શંકાસ્પદ હોવાનું જણાવ્યું છે.
સ્થાનિક કક્ષાએ સુનાવણી ન થતાં ગૃહમંત્રીને શરણ
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, "આ કેમિકલવાળો ઝેરી દારૂ પીને આપણું સ્થાનિક યુવાધન ખતમ થઈ રહ્યું છે, તેને તાત્કાલિક બચાવી લો." મળતી માહિતી મુજબ, ગૃહમંત્રીને પત્ર લખતા પહેલા સાંસદે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ને પણ આ બાબતે લેખિત રજૂઆત કરી હતી. જોકે, સ્થાનિક સ્તરે પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા આખરે તેમણે રાજ્ય કક્ષાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ફરજ પડી છે.
હવે જોવાનું એ રહેશે કે સાંસદના આ ગંભીર પત્ર બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ ખાસ તપાસ સમિતિ (SIT) નીમીને ભ્રષ્ટ તત્વો સામે આકરા પગલાં લેવામાં આવે છે, કે પછી નર્મદા SP સ્તરે જ તપાસનો સંકેલો કરી દેવામાં આવે છે. સૌ કોઈની નજર અત્યારે ગૃહ વિભાગની આગામી કાર્યવાહી પર મંડાયેલી છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનું મહત્વપૂર્ણ નિવેદન
સાંસદ મનસુખ વસાવાએ દારૂ મુદ્દે ગૃહમંત્રીને પત્ર લખતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુશી વ્યક્ત કરી. ચૈતર વસાવાએ જણાવ્યું કે મનસુખ વસાવા નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને સરકાર આ લોકો પર કડક કાર્યવાહી કરે. અમે હપ્તા ઉઘરાવતા પોલીસ અધિકારીઓના વિડીયો સરકારને આપ્યા હતા, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ચૂંટણીમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને કહેવામાં આવ્યું હતું કે “તમે ખુલ્લામાં ધંધો કરજો અને તમે ફક્ત અમારા ઉમેદવારોને જીતાડજો.





