Narmada News : નર્મદા જિલ્લામાં ભાજપની આંતરિક રાજનીતિમાં મોટો ગોરમાવો સામે આવ્યા છે. જિલ્લાના બે પ્રભાવશાળી ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ શાબ્દિક આમને-સામને આવ્યા છે. પક્ષના અંદર જ બે મોટા નેતાઓ વચ્ચે ખુલ્લો વિવાદ જાહેર થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે.
મનસુખ વસાવાએ કોના પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
7 ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવાએ એક નનામા પત્રને આધારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે આડકતરી રીતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા હતા. આ નિવેદનો બાદ બાબત વધતા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ખુલ્લો પ્રતિસાદ આપ્યો છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખએ કહ્યું છે કે, “ભ્રષ્ટાચારની વાત છે તો સાબિત કરે, નહીં તો હું મનસુખ વસાવા સામે માનહાનીનો દાવો કરું, કોર્ટમાં જવાનું થશે તો હું કોર્ટમાં પણ જઈશ'. દર્શનાબેન દેશમુખ મનસુખ વસાવાના નિવેદનોનો વિરોધ પ્રદર્શિત કરવા ધરણા પર બેસવાના હતા, પરંતુ અંતિમ ક્ષણે પાર્ટીના પ્રદેશ વડાથી મળેલી સૂચનાને આધારે ધરણું રદ કર્યું હતું.
'મનસુખ વસાવા બાબતે મેં પ્રદેશ સુધી રજુઆત કરી છે'
ધારાસભ્યએ વધુમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, 'મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી. હું ધારાસભ્ય બની ત્યારથી તેઓ સતત મારા પર આક્ષેપો કરતા આવ્યા છે. હું પણ ભાજપની દીકરી છું, સિનિયર સાંસદ તરીકે આ રીતે વાણી વિલાસ ન કરવા જોઈએ. મારી પાસે પણ નનામા પત્રો આવે છે, પરંતુ અમે તે કચરામાં નાખી દઈએ છીએ. મનસુખ વસાવા બાબતે મેં પ્રદેશ સુધી રજુઆત કરી છે.'
'...હવે મૌન તોડવું પડ્યું છે'
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, 'જો મારા વિષે કંઈ પ્રશ્ન હોય તો યોગ્ય ફોરમમાં ચર્ચા કરવી જોઈએ. લાંબા સમયથી મૌન હતી, પરંતુ હવે મૌન તોડવું પડ્યું છે. આગળ જો તેઓ કંઈ બોલશે તો મારે પણ જવાબ આપવો પડશે. આ પ્રકરણને કારણે જિલ્લા રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને પક્ષની અંદરની ગતિશીલતા પર પણ નજર ટકી છે. બંને નેતાઓના નિવેદનોના કારણે હવે આગલા દિવસોમાં સ્થિતિ કઈ દિશામાં વળશે તે જોવાનું રહ્યું'.






