મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે 'મોરેમોરા'નું રાજકારણ શરૂ થયું. બે નેતાઓ વચ્ચે ચેલેન્જથી શરૂ થયેલા રાજકારણમાં બીજા નેતાઓ પણ પોત પોતાના મત રાખી રહ્યાં છે. આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને કડવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ કહ્યું કે, "પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા હોય, તો પૂરા કરવા જોઈએ'' વધુમાં કહ્યું કે, "મારી પાસે પ્રશ્ન સમાધાન માટે આવશે તો હું જરૂર નિરાકરણ લાવીશ"
'..ને જો હું ફરું, તો મારા બાપમાં ફેર હો'
ચેલેન્જની રાજનીતિમાં ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા બે એક બીજાને ચેલેન્જ ફેંકી રહ્યાં છે, જે રાજીનામાની અને ફરીથી ચૂંટણી લડવાની ચેલેન્જને સ્વીકારી પણ રહ્યાં છે. કાંતિ અમૃતિયાએ કહ્યું કે, "આવતા સોમવારે હું ને ગોપાલભાઈ બંને વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને ભેગા જ રાજીનામું આપીએ, રાજીનામા આપ્યા પછી, મોરબીમાં ચૂંટણી લડીએ" વધુમાં કહ્યું કે, "હું પાકી જબાનનો માણસ છું. જો હું મોરબીથી હારીશ, તો તમને ₹2 કરોડ આપીશ!, જો હવે ગોપાલ પોતાની વાતથી ફરશે, તો એના બાપમાં ફેર નહીં ને જો હું ફરું, તો મારા બાપમાં ફેર હોય!"
''હું તો સાત વાર ચૂંટણી લડ્યો છું'
કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને કહ્યું કે, ''તમે તો ખાલી એકવાર ચૂંટાયા છો, ને હું તો સાત વાર ચૂંટણી લડ્યો છું, તમે અહીં આવો, તમારા આપના દેશના તમામ નેતાઓ આવે ને આપણે ચૂંટણી લડીએ, વિસાવદરમાં એક સીટ જીત્યા એટલે આપના કાર્યકરોએ ને નેતાઓએ આટલો બધો ઉપાડો લીધો છે"
ક્યાંથી 'રાજકીય ચેલેન્જ'ની શરૂઆત થઈ?
પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા જીત્યા બાદ તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો કે, કોઈ પણ ધારાસભ્યને તમે લઈ જાઓ અને બેઠક ખાલી કરીને પેટા ચૂંટણી કરાવી જુઓ, જો કે, આ નિવેદન બાદ મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આદોલનમાં કહ્યું હતું કે, ''AAPના નેતા ગોપાલ ઈટાલિયા જો મોરબી ચૂંટણી લડવા આવે તો હું રાજીનામુ આપી દઈશ અને જો જીતી જશે તો બે કરોડ રૂપિયા પણ આપીશ''
ગોપાલ ઈટાલિયા એ શું ચેલેન્જ આપી હતી?
આ ચેલેન્જ પછી ગોપાલ ઈટાલિયાએ વીડિયો જાહેર કરી કહ્યું કે, ''મોરબીના ધારાસભ્યએ જે મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે, તે હું સ્વીકારૂ છું. તેઓ 12 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દે, ફરી ના જતાં ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે''.

_a46c189f-7dcb-4f63-9c79-c16c720b7cd9.jpg)




