Mujpur Gambhira Bridge collapsed: પાદરમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ, મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના બે કટકા થઈ ગયા, જેમાં 13 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના બાદ ફરી એકવાર તંત્ર સામે સવાલો ઉભા થયા છે. આક્ષેપ થઈ રહ્યાં છે કે, તંત્રને અવાર નવાર રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન કરાઈ જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ છે. વર્ષ 2022માં જ રજૂઆત કરાઈ હતી.
અગાઉ અનેક રજૂઆત કરાઈ છતાં...?
આ બ્રિજ જર્જરિત હોવા અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી. 22 ઑગસ્ટ 2022ના રોજ બ્રિજ જર્જરિત હોવા અંગેની રજૂઆત કરણી સેનાના યુવા પ્રમુખ લખન દરબારે R&B વિભાગને કરી હતી. જે અંગેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અધિકારી સાથે વાતચીત કરતા જેઓ જણાવી રહ્યાં છે કે, ''બ્રિજ હવે ટકી શકે તેમ નથી'' લખન દરબાર જણાવ્યું કે, ''તેમણે વારંવાર અધિકારીઓને ફોન કર્યા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો અને આજે તંત્રની બેદરકારીના કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે''.
હર્ષદસિંહ પરમારે પણ રજૂઆત કરી હતી
વર્ષ 2022માં જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આ બ્રિજ અંગે વડોદરા ડિવિઝનના આર એન્ડ બીના એન્જિનિયરને પત્ર લખ્યું હતું. જેમણે તે પત્રમાં લખ્યું હતું કે, ''મુજપુર ગંભીરા બ્રિજ અત્યંત ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક ધોરણે સ્થળ ઇન્ક્વાયરી, યોગ્ય પગલા તથા ટેસ્ટ રિપોર્ટ કરવો''
તંત્ર સામે સ્થાનિકોનો રોષ
સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમણે તંત્ર સામે ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, ''45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વાર ધ્યાન દોરવામાં આવ્યું પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને આખરે આ દુર્ઘટના સર્જાઈ''




















