ગુજરાતમા દુર્ધટના સર્જાવાનો સિલસિલો યથાવત હોય તેમ જણાઈ રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વધુ મોટી દુર્ઘટના સર્જાઈ છે, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજના બે ભાઈ થઈ ગયા છે. જેમાં ત્રણથી વધુ વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે
3 લોકોના મોત, 5 લોકો ઈજાગ્રસ્ત
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ''ગંભીરા બ્રિજ એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા બ્રિજનો એક ભાગ-વચ્ચેનો એક સ્લેબ ધરાશાયી થતાં લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય તેવી વિગતો છે. જે દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકોને આપણે રેસ્ક્યું કર્યા છે તેમજ પાંચથી છ લોકોને સારવાર આપીને રજા પણ આપી દીધી છે''
''બ્રિજ એક્સપર્ટની ટીમ કારણોની તપાસ કરશે''
પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ''મુખ્યમંત્રીએ અત્યારે જ તાત્કાલિક સુચના આપી છે કે, દુર્ઘટના સ્થળે તાત્કાલિક બ્રિજ એક્સપર્ટની ટીમ પહોંચીને કારણોની તપાસ કરે''. વધુમાં કહ્યું કે, ''આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે તેને મેન્ટેન પણ કર્યો છે, પરંતુ બનાવનું કારણ શું છે જે તપાસ બાદ જ જાણવા મળશે. જો કે, મુખ્યમંત્રીએ ત્યા નવા બ્રિજના નિર્માણ માટે ત્રણ મહિના અગાઉ મંજૂરી પણ આપી દીધેલી છે, જેનું કામ પ્રગતિમાં હતું''.
મૃત્યુઆંક 13 પર પહોંચ્યો
ઋષિકેશ પટેલે જ્યારે મીડિયા સાથે વાતચીત કરી તે સમયે તેઓએ ત્રણ વ્યક્તિના મોતની પુષ્ટિ કરી હતી પરંતુ સાંજ સુધીમાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો હતો.




















