Mujpur Gambhira Bridge Collapsed : મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા પુલનો એક ભાગ તૂટી પડતાં પાંચથી છ વાહનો નદીમાં ખાબક્યા હતા. જેમાં13 લોકોના મોત જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ માર્ગ અને મકાન વિભાગના સચિવની પ્રતિક્રિયા સામે આવી છે.
માર્ગ મકાન વિભાગના સચિવે શું કહ્યું?
માર્ગ મકાન વિભાગના સચિવ, પી આર પટેલીયાએ કહ્યું કે, ''સમગ્ર ઘટનાને પગલે બ્રિજ એક્સપર્ટની ટીમ રવાના થઈ છે'', વધુમાં તેમણે કહ્યું કે, ''આ બ્રિજ ગયા વર્ષે જ રીપેર કરેલો હતો, વધારાના ટ્રાફિકના કારણે રૂપિયા 212 કરોડના ખર્ચેનો નવો બ્રિજ પણ ત્રણ મહિના પહેલા મંજૂર કરેલો છે. રાજ્યમાં જે જર્જરિત બ્રિજ છે તે તમામ બંધ કરી દેવામાં આવેલા છે''
મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું?
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ''મુખ્યમંત્રીએ અત્યારે જ તાત્કાલિક સુચના આપી છે કે, દુર્ઘટના સ્થળે તાત્કાલિક બ્રિજ એક્સપર્ટની ટીમ પહોંચીને કારણોની તપાસ કરે''. વધુમાં કહ્યું કે, ''આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે તેને મેન્ટેન પણ કર્યો છે, પરંતુ બનાવનું કારણ શું છે જે તપાસ બાદ જ જાણવા મળશે. જો કે, મુખ્યમંત્રીએ ત્યા નવા બ્રિજના નિર્માણ માટે ત્રણ મહિના અગાઉ મંજૂરી પણ આપી દીધેલી છે, જેનું કામ પ્રગતિમાં હતું''.
તંત્ર સામે સ્થાનિકોનો રોષ
સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમણે તંત્ર સામે ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, ''45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને આખરે આ દુર્ઘટના સર્જાઈ''




















