રાજકોટ ભાજપમાં ફરી આંતરિક વિખવાદ સામે આવ્યો છે. મહાનગરપાલિકાના કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં સાંસદ પરસોત્તમ રૂપાલાન નામ લખાયું છે, જ્યારે સાંસદ રામભાઇ મોકરિયાનું નામ ન હોવાથી ફરી એકવાર રાજકોટ ભાજપમાં રાજકારણ ગરમાયુ છે. આપને જણાવી દઈએ કે, મોકરિયાએ થોડા દિવસ અગાઉ શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ પ્રમુખને કઠપૂતળી સમાન ગણાવ્યા હતા. આ નિવેદન બાદ મહા પાલિકાના કાર્યક્રમથી મોકરીયાને દૂર રાખવામાં આવતા અનેક ચર્ચાઓ તેજ થઈ છે.
'કઠપૂતળી' અને કાર્યક્રમમાં બાદબાકી
રામ મોકરિયાના કઠપૂતળીના નિવેદનના પડધા પડ્યા અને તેમને જાહેર કાર્યક્રમોથી દૂર રાખવામાં આવી રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે. વિગતો મુજબ પ્રમુખ અને પૂર્વ પ્રમુખે આ મામલે પ્રદેશના આગેવાનોનું ધ્યાન દોર્યું હતું અને રામભાઇ છાશવારે જાહેરમાં બફાટ કરી પાર્ટીને નુકસાન કરી રહ્યા છે તેવી રજૂઆતો કરી હતી. જો સમગ્ર ઘટના બાદ હવે આમંત્રણ કાર્ડમાંથી તેમનુ નામ બાદબાકી થતાં એવી ચર્ચા છે કે, પ્રમુખે મોકરિયાને શહેર ભાજપના કાર્યક્રમ અને મહાનગરપાલિકાના કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપવાની મૌખિક સૂચના આપી.
શહેર ભાજપ પ્રમુખ માધવ દવે એ શું કહ્યું?
આ મામલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે એ કહ્યું હતું કે, ''રામભાઇ સાથે કોઇ બાબતે ક્યારેક નાની મોટી બોલાચાલી થઇ હોય તેવું બને પરંતુ તે અમારા વડીલ છે અને તેમને કાર્યક્રમથી દૂર રાખવાની કોઇ સૂચના આપવામાં આવી નથી. વધુમાં મોન્સુન સત્ર ચાલતું હોવાથી મોકરિયાનું નામ કાર્ડમાં લખ્યું નથી તેવું જણાવ્યું હતું.'' જો કે, પરસોત્તમ રૂપાલાને પણ મોન્સૂન સત્રમાં હાજર રહેવાનું હોય છે છતાં તેમનું નામ કાર્ડમાં લખાયું છે.






