Priyanka In Lok Sabha: પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારને કઠેડામાં ઉભી કરી. તેમણે પહેલગામ આતંકવાદી હુમલા પાછળ સુરક્ષા ખામીઓનો મુદ્દો લઈને પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે પહેલગામની ઘાટીમાં સુરક્ષા કેમ નહોતી? શું સરકારને ખબર નહોતી કે હજારો લોકો ત્યાં ફરવા જાય છે? લોકો સરકાર પર વિશ્વાસ કરીને ગયા અને સરકારે તેમને ભગવાન ભરોસે છોડી દીધા. આ જવાબદારી કોની હતી? વડાપ્રધાન ઓપરેશન સિંદૂરનો શ્રેય લેવા આગળ આવે છે; જવાબદારી લેવા કેમ આવતા નથી ?
'સરકાર ફક્ત પ્રચારની ચિંતા કરે છે, જનતાની નહીં':
પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર જનતાની ચિંતા કરવાને બદલે માત્ર પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ સરકાર હંમેશા પ્રશ્નો ટાળે છે. તેઓ દેશના નાગરિકો પ્રત્યે કોઈ જવાબદારી અનુભવતા નથી. સત્ય એ છે કે તેમના હૃદયમાં જનતા માટે કોઈ સ્થાન નથી. તેમના માટે બધું રાજકારણ અને પ્રચાર છે.
પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર ફક્ત કાર્યક્રમો અને ફોટા પડાવવામાં વ્યસ્ત છે, જ્યારે જાહેર સમસ્યાઓ અને સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં, સરકારનું કામ જવાબ આપવાનું અને જવાબદારી લેવાનું છે, પરંતુ વર્તમાન સરકાર તેનાથી ભાગી રહી હોય તેવું લાગે છે.






