મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધજન્ય તણાવ વચ્ચે વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓની ચિંતા વધતી જઈ રહી છે. આવી સ્થિતિને ધ્યાનમાં લઈ સુરતના સાંસદ મુકેશ દલાલે તાત્કાલિક કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. તેમણે વિદેશ મંત્રી એસ. જયંશકરનો સંપર્ક સાધી સુરત અને ગુજરાતના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પગલાં લેવા વિનંતી કરી છે.
સુરત સાંસદ મુકેશ દલાલે જણાવ્યું, "ઇઝરાયેલ અને ઈરાનના યુદ્ધના કારણે હજારોની સંખ્યામાં ભારતીયો, જેમાં અનેક ગુજરાતીઓ પણ સામેલ છે, તેઓ મિડલ ઈસ્ટ (ખાડી દેશો) ના વિસ્તારોમાં ફસાયા છે."
સાંસદ આગળ બોલ્યા, "મારી પાસે અમદાવાદ, જામનગર, પોરબંદર અને સુરતના અનેક લોકોની રજૂઆતો આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠને પણ આ અંગેની અલાયદી વ્યવસ્થા કરી છે અને તેમની તરફથી પણ મારી પાસે અનેક નામો આવ્યા હતા."
"આ તમામ નામો મેં વિદેશ મંત્રી એસ. જયશંકર સાહેબને ઈમેલ દ્વારા મોકલી આપ્યા છે અને મેં માંગણી કરી છે કે જે પણ ભારતીયો આ યુદ્ધના કારણે ખાડી દેશોમાં ફસાયા છે, તેઓ બને તેટલી ઝડપથી અને સલામતીપૂર્વક ભારત પરત ફરે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે," એમ સાંસદ મુકેશ દલાલે જણાવ્યું.
સુરત સાંસદે વધુમાં જણાવ્યું, "મેં વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે કે તેઓ ત્યાંની સંબંધિત એમ્બેસી (દૂતાવાસ) ને આ અંગે જરૂરી સૂચનાઓ આપે. અત્યાર સુધીમાં મારી પાસે આશરે 40 જેટલા લોકોની રજૂઆતો આવી છે. દુબઈ સ્થિત ભારતીય એમ્બેસી તરફથી પણ મને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેઓ સતત આ નાગરિકોના સંપર્કમાં છે અને શક્ય તેટલી વહેલી તકે તેમને ભારત પરત લાવવાની કામગીરી કરવામાં આવશે."



















