Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના (AI-171) ના દુ:ખને ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે. હવે આ અકસ્માતમાં પોતાની માતા કલ્પના બેન પ્રજાપતિને ગુમાવનાર હીર પ્રજાપતિએ યુએસ ફેડરલ કોર્ટમાં બોઇંગ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હીરને આશા છે કે તેમને જલ્દી ન્યાય મળશે. આ દુ:ખદ અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને જમીન પર રહેલા 19 લોકોનો સમાવેશ થાય છે.
દીકરાએ એક પ્રખ્યાત વકીલને સોંપ્યો આ કેસ
ANI સાથે વાત કરતા હીરે કહ્યું કે તેમણે આ કેસ માટે પ્રખ્યાત વકીલ માઈક એન્ડ્રુઝને રાખ્યા છે, જે 65 થી વધુ પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હીરે કહ્યું, "અમે માઈક એન્ડ્રુઝને પસંદ કર્યા છે. અમને આશા છે કે વિમાનના બ્લેક બોક્સ વિશેની માહિતી ટૂંક સમયમાં મળશે, જેથી અમે અને અમારા વકીલો આગળની કાર્યવાહી નક્કી કરી શકીએ. ભારતમાં કેસ વર્ષો સુધી ચાલે છે, તેથી અમે અમેરિકામાં કેસ દાખલ કર્યો, જ્યાં નિર્ણય ઝડપથી લઈ શકાય છે."
હીરે કોનો માન્યો આભાર?
હીરે ભારત સરકાર, પોલીસ અને ડોકટરોનો હૃદયથી આભાર માન્યો. તેમણે કહ્યું, "અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. અકસ્માત પછી સરકાર અને પોલીસે અમને ખૂબ મદદ કરી. ડોકટરોએ પણ ઝડપથી ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને અમારી માતાનો મૃતદેહ અમને સોંપ્યો." હીરે જણાવ્યું કે તેમની માતાની ફ્લાઇટ પહેલા 9 જૂને બુક કરવામાં આવી હતી, પરંતુ તેમના ઉપવાસને કારણે, તેમણે 11 જૂન અને પછી 12 જૂને ટિકીટ ખસેડવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, "માતા કોઈ ઓડ તારીખે મુસાફરી કરવા માંગતી ન હતી. તેથી મેં 12 જૂન માટે ટિકિટ બુક કરાવી, પરંતુ આ અકસ્માત તે જ દિવસે થયો."
ઉલ્લેખનીય છે કે, વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિ, વિઝા મળ્યા પછી પહેલી વાર લંડનમાં રહેતા પોતાના દીકરાને મળવા માટે ઉત્સાહિત હતા. વહેલી સવારે તેમણે પોતાના પડોશીઓ અને સંબંધીઓને વિદાય આપી અને કહ્યું, "હું લંડન જઈ રહી છું, મારા ઘરનું ધ્યાન રાખજો."
ગુજરાતમાં વિમાન દુર્ઘટના 12 જૂનના રોજ બની હતી. અકસ્માતના બે મહિના પછી પીડિત પરિવારોએ અમદાવાદમાં કેન્ડલ માર્ચ કાઢી હતી. આ દરમિયાન વકીલ માઈક એન્ડ્રુઝે કહ્યું, "આ દુર્ઘટના દરેક માટે ખૂબ જ દુઃખદ છે. પરિવારોએ કેન્ડલ માર્ચ કાઢીને તેમના પ્રિયજનોને શ્રદ્ધાંજલિ આપી. અમને તેમાં ભાગ લેવાની તક મળી, અમે તેના માટે આભારી છીએ. પરિવારો હવે જવાબ માંગે છે કે આ અકસ્માત કેવી રીતે થયો."
12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 વિમાન (AI-171) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. આ અકસ્માતે સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો. હવે પીડિત પરિવારો ન્યાય અને સત્યની શોધમાં છે.






