મિડલ ઈસ્ટમાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવની છાયા હવે પવિત્ર શહેર મક્કા સુધી પહોંચી છે. પરિસ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય ઉડાનો, સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરી પર ગંભીર અસર પડી છે. હજ માટે ગયેલા યાત્રાળુઓમાં અનિશ્ચિતતા અને ભયનો માહોલ સર્જાયો છે. વડોદરા સહિત ગુજરાત અને દેશના વિવિધ શહેરોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે મક્કા પવિત્ર યાત્રા માટે ગયેલા સેંકડો યાત્રાળુઓ હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. વડોદરાથી ગયેલા અનેક લોકો હાલમાં મક્કામાં રોકાયેલા છે, જ્યાં મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ સ્થિતિને કારણે અશાંતિનો માહોલ છે.
વડોદરાના યાત્રાળુઓ સહિત 700થી વધુ લોકો ફસાયા
મક્કા ગયેલા વડોદરાવાસી ફારુક સોનીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અંદાજે 700થી વધુ ભારતીય યાત્રાળુઓ હાલ પરત ફરવા માટે રાહ જોઈ રહ્યા છે. તેમાં વડોદરા ઉપરાંત મુંબઈ સહિતના શહેરોના લોકોનો સમાવેશ થાય છે. પરત ફરવાની ફ્લાઇટ્સ અને ટ્રાવેલ આયોજનમાં વિલંબ થવાથી યાત્રાળુઓ તેમજ તેમના પરિવારજનોમાં ચિંતા વધી રહી છે. યુદ્ધના કારણે હવાઈ માર્ગોમાં ફેરફાર, કેટલાક એરપોર્ટ પર વધારાની ચકાસણી અને સુરક્ષા કડક બનતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો હજુ ભારતમાંથી મક્કા જવાના હતા, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી અટકાવી દેવામાં આવી છે.
મક્કામાં યુદ્ધની છાયા
યાત્રાળુઓના પરિવારજનો સતત સંપર્કમાં રહી તેમની સલામતી વિશે માહિતી મેળવી રહ્યા છે. સત્તાવાર સ્તરે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે ત્યારે દૂતાવાસ સ્તરે સહાય પૂરી પાડવાની તૈયારી હોવાનું જાણવા મળે છે. હાલમાં તમામની નજર પરત ફરવાની વ્યવસ્થા અને પરિસ્થિતિ ક્યારે સામાન્ય બનશે તેના પર ટકેલી છે. વડોદરા સહિત અનેક શહેરોમાં યાત્રાળુઓની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.




















