બેંગકોક ખાતે પીએમ મોદીની બાંગ્લાદેશનાં મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે એક બેઠક મળી હતી. દરમ્યાન યુનુસે શેખ હસીનાનાં પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને જણાવ્યું કે, તે ભારતમાં જ રહીને ઉશ્કેરણીજનક નિવેદનો આપે છે.
બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અને તેમના પર થઈ રહેલા અત્યાચાર અંગે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત ઈચ્છે છે કે બાંગ્લાદેશ સરકાર આ બાબતોની ગંભીરતાથી તપાસ કરે અને લઘુમતીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથેની તેમની બેઠકમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓની સુરક્ષા અંગે ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બાંગ્લાદેશ સરકાર પાસેથી અપેક્ષા વ્યક્ત કરી હતી કે તે લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને તેમની સામે થઈ રહેલા અત્યાચારોની સંપૂર્ણ તપાસ કરશે.
બંને નેતાઓ વચ્ચે બેંગકોકમાં બહુ-ક્ષેત્રિક તકનીકી અને આર્થિક સહકાર (BIMSTEC) સમિટ દરમિયાન બંગાળની ખાડી પહેલ દરમિયાન થઈ હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ વડાપ્રધાન મોદી અને યુનુસની આ પહેલી મુલાકાત હતી.





