MLA Prakash Varmora : ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પર જમીન બિનખેતી કરવાના આક્ષેપો લાગ્યા બાદ તેમણે આ મુદ્દે પોતાનું સ્પષ્ટ અને ખુલ્લું નિવેદન આપ્યું છે. પ્રકાશ વરમોરાએ જણાવ્યું હતું કે નિયમો બધા માટે સમાન હોય છે અને સરકાર સંપૂર્ણ પારદર્શિતાથી કામ કરે છે. તેમણે કહ્યું કે, ઘણા લોકો પોતાના એજન્ડા સેટ કરવા માટે ધડ માથા વગરની વાતો કરી વિષયને ખોટી રીતે રજૂ કરે છે. “વિષયને સાચી રીતે મૂકવો જોઈએ, પરંતુ કેટલાક લોકો તેને અલગ રીતે રજૂ કરે છે” તેમ તેમણે જણાવ્યું.
'મારી જમીનમાંથી પણ પાવર ગ્રીડની લાઈન નીકળવાની છે'
પાવર ગ્રીડ મુદ્દે સ્પષ્ટતા કરતાં ધારાસભ્યએ કહ્યું કે પાવર ગ્રીડ કેન્દ્ર સરકારની કંપની છે અને આ લાઈનો તમામ જગ્યાએથી પસાર થાય છે, ખેડૂત ગુજરાતનો હોય કે અન્ય રાજ્યનો. તેમણે ઉમેર્યું કે, “મારી જમીન સહિત કુલ 21 ખેડૂતોને નોટિસ મળી છે અને એમાં મને પણ નોટિસ આપવામાં આવી છે. ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે, કારણ કે મારી પોતાની ખેતીની જમીનમાંથી પણ પાવર ગ્રીડની લાઈન નીકળવાની છે.”
'સરકારને જરૂર પડે ત્યારે ગમે ત્યાંથી લાઈન કાઢવાનો અધિકાર'
પ્રકાશ વરમોરાએ સમજાવ્યું કે, 'જો કોઈ ખેડૂતની જમીનમાંથી પાવર ગ્રીડની લાઈન પસાર થાય તો લાઈનની નીચે બાંધકામ કરી શકાય નહીં, પરંતુ બાકીની જમીન બિનખેતી કરી શકાય છે. તેમણે કહ્યું કે સરકારને જરૂર પડે ત્યારે ગમે ત્યાંથી લાઈન કાઢવાનો અધિકાર છે. આક્ષેપોને નકારી કાઢતા તેમણે જણાવ્યું કે, “મારી પાર્ટી, પરિવાર અને સમાજના સંસ્કાર છે. 25–30 લાખ રૂપિયા માટે હું આવું કામ કરું એ શક્ય નથી. હું પ્રતિષ્ઠિત માણસ છું અને ભાજપનો ધારાસભ્ય હોવું કોઈ ગુનો નથી.”
'જો કેનાલ કે રસ્તો નીકળે તો એક વખત ઓછું વળતર મળે...'
બિનખેતી મંજૂરી અંગે તેમણે સ્પષ્ટતા કરી કે ભાજપની ઉપલબ્ધતાથી કેટલાક લોકોની જમીન 15 દિવસમાં બિનખેતી થતી હોય, પરંતુ મારી જમીનને બિનખેતી થવામાં 29 દિવસ લાગ્યા છે. તેમણે ખેડૂતોને સંદેશ આપતા કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. પાવર ગ્રીડ વળતર મુદ્દે તેમણે જણાવ્યું કે, તેઓ સતત પાવર ગ્રીડના અધિકારીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે. “જો કેનાલ કે રસ્તો નીકળે તો એક વખત ઓછું વળતર મળે તો ચાલે, પરંતુ પાવર ગ્રીડ લાઈન નીકળે ત્યારે ખેડૂતોને વધુ વળતર મળવું જોઈએ. આ બાબતે મેં મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરી છે” તેમ તેમણે કહ્યું.




















