Koli society : પ્રખ્યાત માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરે દ્વારા બગદાણાના નવનીત પર થયેલા હુમલાના આક્ષેપ મામલે વિવાદ વકર્યો છે. ત્યારે હવે નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે હવે ધારાસભ્ય હિરા સોલંકી મેદાને આવ્યા છે.
'...ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ના કરે'
MLA હિરા સોલંકીએ નવનીત બાલધિયાની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને કહ્યું કે, 'એ લોકો દસ લોકોએ હુમલો કર્યો છે જો મર્દ હોત તો એકલો આવ્યો હોત, પરંતુ 10 લોકો હુમલો કરે તો તું શું હું પણ માર ખાઉં, એટલે સામે કોઈ મારે ત્યારે માર ખવાય કે મરાય એક જ થાય છે'. વધુમાં સભાને સંબોધતા કહ્યું કે, 'જે હશે તેને સજા અપાવવાની થાય છે, હું એટલા માટે અહીં આવ્યો છું કે, ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ના કરે, એવું કામ કરીને જવાનું છું. કોળી સમાજે બહું સહન કર્યું છે. કોળી સમાજ પર અન્યાય જરાય સહન નહી થાય. નવનીત એકલો નથી સમગ્ર સમાજ એની સાથે છે. જ્યાં જ્યાં આવા બનાવો બનશે ત્યાં સૌથી પહેલા આ હિરા સોલંકી પહોંચશે. એ ખાલી દેખાવો કરવા માટે નહી, કહીં દઉં કે મારે કોઈ દેખાવો કરવો નથી'.
'PIની બદલી થઈ જાય એવું કરજો'
હિરા સોલંકીએ કહ્યું કે, 'મેં મોટા ભાઈ સાથે વાત કરી છે, ભાઈને કીધું છે કે ભાઈ સોમવારે તમારે મારી સાથે આવવું પડશે. CM અને ગૃહમંત્રીને મળવાના છીએ. સાથો સાથ અહીંથી એક માંગણી કરતો જોઉં છું કે, અમે સોમવારે ગાંધીનગર પહોંચીએ તે પહેલા PIની બદલી થઈ જાય એવું કરજો. મારી રજૂઆત આ હશે. કેમ કે સાચી દિશાએ આ કામ નથી થતું. જે સમાજનો ના થાય એ કોઈ નો ના થાય. સાચું હશે તે કરવાનું થશે. સમાજ સાથે રહેજો કોઈના હાથા ના બનતા'.
જાણો સમગ્ર મામલો
મુંબઈના કાર્યક્રમમાં બગદાણા ધામના 'મેનેજિંગ ટ્રસ્ટી' શબ્દના ઉલ્લેખ મામલે માયાભાઈ પાસે માફી મંગાવનાર અને તેમની ભૂલ સુધારનાર બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા પર અજાણ્યા શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. આ ટેલિફોનિક વાતચીત બાદ માયાભાઈએ માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો, આ હુમલામાં નવનીતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ હુમલાના આક્ષેપોમાં માયાભાઈના પુત્રનું નામ ઉછળતા મામલો વધુ ગરમાયો છે. જે બાદ બંને પક્ષોના આક્ષેપ કરતા નિવેદનો પણ સામે આવ્યા છે.





















