નર્મદા જિલ્લાના ચીકદા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા આદિવાસી સમાજના હક્કો, શિક્ષણ, રોજગાર અને સરકારની નીતિઓ અંગે તીખા નિવેદનો આપ્યા હતા.
'અમારી સરકાર આવશે ત્યારે...'
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર આવશે ત્યારે આદિવાસીઓના બંધારણીય અધિકારો માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ જમીન પર અમલમાં મૂકવામાં આવશે.” તેમણે કહ્યું કે સરકાર બનતાં જ ટ્રાયબલ એડવાઇઝરી કમિટી બનાવવામાં આવશે જેથી આદિવાસી સમાજના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવી શકે.
'AAP સતત પ્રયત્નશીલ છે...'
તેમણે વન અધિકાર કાયદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “વન અધિકાર કાયદા હેઠળ આદિવાસીઓને મળવા પાત્ર બાકી રહેલા તમામ હક્કો અમે જરૂરથી આપીશું” સાથે જ નર્મદા જિલ્લામાં શિક્ષણની ખરાબ સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં 181 ગામોમાં શાળાઓ જ નથી અને 505 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, જે સરકારની નિષ્ફળતાનું જીવતું ઉદાહરણ છે. આદિવાસી યુવાનોના ભવિષ્ય વિશે બોલતાં ચૈતર વસાવાએ કહ્યું કે AAP સતત પ્રયત્નશીલ છે કે આદિવાસી યુવાનો પોલીસ, IAS, IPS, ડોક્ટર અને શિક્ષક બની સમાજમાં આગળ વધે. તેમણે મનરેગા મુદ્દે સરકાર પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે, “મનરેગાનું નામ બદલવાથી સત્ય બદલાતું નથી. કૌભાંડોનો જવાબ જનતા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપશે.”
'2027માં ગુજરાતમાં પરિવર્તન લાવી...'
સભાને અંતમાં તેમણેજણાવ્યું કે, “2027માં ગુજરાતમાં પરિવર્તન લાવી આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું.” સાથે જ ચેતવણી આપતાં કહ્યું કે, “જો આદિવાસીઓ પર અન્યાય થશે તો અમે રસ્તા પર ઊતરીને લડત લડશું”




















