જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ભારતી આશ્રમમાંથી લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ગુમ થયાના બનાવથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાપુએ ગુમ થવા પહેલાં 5 પાનાંની સુસાઇડ નોટ લખી હતી, જે પોલીસને મળી આવી છે.
“મને લઈ જાઓ”
આ ઘટના અંગે ભવનાથ પોલીસની ટીમે બાપુની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સાથે સ્થાનિક લોકો અને ભક્તોએ પણ બાપુને શોધવા પ્રયાસો તેજ કર્યા છે. આ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. મોડીરાત્રે આશ્રમના ટ્રસ્ટીનો ફોન રણક્યો, અને કૉલ પર જાતે મહાદેવભારતી બાપુ હતા. બાપુએ કહ્યું, “મને લઈ જાઓ” આ વાત સાંભળતાંજ ટ્રસ્ટી અને પોલીસ ટીમ ચોંકી ઉઠી અને કોલ ક્યાંથી આવ્યો હતો તેની તપાસ શરૂ કરી હતી.
બાપુ સુસાઇડ નોટ લખી થયા ગુમ
હાલ પોલીસ દ્વારા બાપુની સુસાઇડ નોટનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં નોટમાં લખાયેલા કેટલાક મુદ્દાઓ પરથી માનસિક દબાણ અથવા કોઈ આંતરિક વિવાદની શક્યતા પણ તપાસ હેઠળ છે. મહાદેવભારતી બાપુની હાલની સ્થિતિ વિશે હજી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ પોલીસે જણાવ્યું છે કે બાપુને સલામત રીતે શોધી કાઢવા માટે તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ ઘટનાએ ધાર્મિક વર્તુળો સહિત સમગ્ર ભવનાથ વિસ્તારમાં ચકચાર મચાવી છે, જ્યારે ભક્તો બાપુની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.






