ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે બંને પક્ષોના 50થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ કચ્છમાં કોંગ્રેસના ગઢ કહેવાતા અબડાસામાં 200 થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ BJP નો ખેસ ધારણ કર્યો હતો.
ભરૂચમાં ભાજપનો ખેસ ધારણ કર્યો
મળતી માહિતી મુજબ, ભરૂચ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પક્ષપલટામાં કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલ અને આમ આદમી પાર્ટીના આગેવાન આકાશ પટેલે પણ સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ બંને આગેવાનોના જોડાણને કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચકચાર મચી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપ માટે આ જોડાણ મજબૂતીરૂપ બની શકે છે, જ્યારે કોંગ્રેસ અને AAP માટે આ ઘટના ચિંતાજનક માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો! : એકસાથે 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણી પહેલાં આવા પક્ષપલટા મતદારોના મનોભાવ પર અસર કરી શકે છે. ખાસ કરીને સ્થાનિક સ્તરે કાર્યકરોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાથી આ બદલાવ ચૂંટણીના પરિણામોને પણ પ્રભાવિત કરી શકે છે.
હાલમાં ભરૂચમાં રાજકીય હલચલ તેજ બની છે અને આવનારા દિવસોમાં વધુ આવા પરિવર્તનો જોવા મળી શકે છે. ચૂંટણી પહેલા આ પ્રકારના બનાવો રાજ્યની રાજનીતિને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે.





