અમેરિકા-ઇઝરાયલ સાથે ઈરાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મહેસાણાના ત્રણ વેપારીઓ દુબઈમાં અટવાઈ જવાની ઘટના સામે આવી છે. અલ્પેશકુમાર, યોગેશકુમાર અને પાર્થકુમાર પટેલ નામના ત્રણેય ગુજરાતી વેપારીઓ 25 ફેબ્રુઆરીએ વ્યાપાર અર્થે દુબઈ ગયા હતા.
પરંતુ તાજેતરના તણાવ અને વિમાની સેવાઓ સ્થગિત થવાને કારણે તેઓ ત્યાં જ ફસાઈ ગયા છે. ફ્લાઇટ્સ બંધ થતા વતન વાપસી અંગે તેમની ચિંતા વધી છે.
સરકાર અને સાંસદને અપીલ
ત્રણેય વેપારીઓએ સ્થાનિક સાંસદ તેમજ ભારત સરકારને સુરક્ષિત પરત લાવવા અપીલ કરી છે. પરિજનો પણ તેમની સુરક્ષિત વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. વેપારીઓએ વીડિયો સંદેશ મારફતે જાણકારી આપી છે કે તેઓ હાલ દુબઈમાં સુરક્ષિત છે, પરંતુ પરિસ્થિતિ સામાન્ય ન થતા ભારત પરત ફરવામાં મુશ્કેલી પડી રહી છે.
ભારતીય દૂતાવાસની સલાહ
Embassy of India, Abu Dhabi દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપડેટ રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે. હાલ સરકાર તરફથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વિમાની સેવાઓ ફરી શરૂ થયા બાદ તેમને પરત લાવવાની શક્યતા છે.




















