Mehsana News: મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાંથી પાણીની પોકાર ઉઠી છે. જોટાણાના કસલપુરા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામનો એકમાત્ર બોર છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં છે, જેના કારણે ગામના 3000 જેટલા લોકો અને અબોલ પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક નવો બોર મંજૂર કરવા માંગ કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાનું કસલપુરા ગામ હાલ આકરા જળસંકટનો સામનો કરી રહ્યું છે. ગામમાં આજથી 20 વર્ષ પહેલાં એક બોર બનાવવામાં આવ્યો હતો, જે આખા ગામની જીવાદોરી સમાન હતો. પરંતુ છેલ્લા 4 મહિનાથી આ એકમાત્ર બોર સંપૂર્ણપણે ફેલ થઈ ગયો છે અને તેને રિપેર કરીને ફરીથી ચાલુ કરી શકાય તેવી કોઈ શક્યતા નથી. કાળઝાળ ગરમીમાં બોર બંધ થતાં ગામની અંદાજે 3000 ની વસ્તી અને 740 જેટલા પશુધનને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામમાં સામાજિક કે ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ પાણી વિના મોટી મુશ્કેલી પડે છે.
આ વિકટ સમસ્યાના ઉકેલ માટે કસલપુરા ગ્રામ પંચાયત અને નાગરિકોના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની મહેસાણા કચેરીમાં નવા બોર માટે દરખાસ્ત તો મોકલી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જેથી આખરે ગામના સરપંચ અને ગ્રામજનોએ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. ઉનાળાની આકરી ગરમીમાં કિંમતી પશુધનને બચાવવા અને ગ્રામજનોની તરસ છીપાવવા માટે વહેલી તકે નવા બોરને મંજૂરી આપવામાં આવે તેવી આજીજી ગ્રામજનો કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ લોકોની રજૂઆત સાંભળીને ક્યારે નવો બોર મંજૂર કરે છે.






